Site icon Revoi.in

નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો જાહેર કરશે

Social Share

નવી દિલ્હી, 12 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણમાં અભૂતપૂર્વ પ્રગતિ તરફના એક મોટા પગલા તરીકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 13મી માર્ચે આસામના ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાના 22મા હપ્તા તરીકે દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 18,640 કરોડ ટ્રાન્સફર કરશે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ડીબીટી દ્વારા રૂ. 4,09,000 કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અભ્યાસો દર્શાવે છે કે આ સીધી નાણાકીય સહાયથી કૃષિ રોકાણમાં વધારો થયો છે અને ખેડૂતોની સાહુકારો પરની નિર્ભરતા ઘટી છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે. શિવરાજ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણનો મહાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.

શિવરાજ સિંહ ચૌહાણે છેલ્લા 12 વર્ષમાં કૃષિ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે ભારત હવે અનાજની અછતનો સામનો કરી રહેલા દેશમાંથી વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે, અને આ સરકારની નીતિઓ અને ખેડૂતોની મહેનતને કારણે સાકાર થયું છે. તેમણે માહિતી આપી હતી કે ભારત 150 મિલિયન ટન ચોખાના ઉત્પાદન સાથે આ બાબતમાં વિશ્વમાં ચીનને પછાડીને નંબર વન બની ગયું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે 2014માં 252 મિલિયન ટન અનાજના કુલ ઉત્પાદનની સરખામણીએ હવે દેશનું કુલ અનાજ ઉત્પાદન વધીને 357 મિલિયન ટન થયું છે. બાગાયતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ફળ અને શાકભાજીનું ઉત્પાદન 277 મિલિયન ટનથી વધીને 369 મિલિયન ટન થયું છે. તેમણે કહ્યું કે આજે ભારત કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આજે ભારત કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. સરકાર તુવેર, મસૂર અને અડદ જેવી કઠોળની રેકોર્ડ ખરીદી કરી રહી છે.

શિવરાજ સિંહે કહ્યું કે ખેડૂતોને મદદ કરવા માટે સરકારે ‘ભારત વિસ્તાર’નામનું AI ડિજિટલ પ્લેટફોર્મનો પ્રથમ તબક્કો શરૂ કર્યો છે. આના દ્વારા ખેડૂતો માત્ર એક ફોન કોલ દ્વારા તેમની સ્થાનિક ભાષામાં ખેતીને લગતી તમામ માહિતી મેળવી શકશે. છેલ્લા વર્ષોમાં અમે MSP પર ઘઉં, ડાંગર, કપાસ, તેલીબિયાં અને કઠોળની રેકોર્ડ ખરીદી કરી છે અને ખેડૂતો સસ્તા દરે ખાતર ખરીદે તે સુનિશ્ચિત કર્યું છે.

આ પણ વાંચોઃ ઉનાળાના આકરા તાપમાનને લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં નીર ઘટવા લાગ્યા

Exit mobile version