Site icon Revoi.in

જ્યાં 10 ટકાથી વધુ સંક્રમણ હોય ત્યાં લૉકડાઉન લાગૂ કરી દો, કેન્દ્રનું 10 રાજ્યોને સૂચન

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે જ્યારે કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચન કર્યું છે કે છેલ્લા કેટલાંક સપ્તાહમાં 10 ટકાથી વધુ કોરોના પોઝિટિવ રેટ નોંધાઇ રહેલાં જીલ્લામાં લોકોની અવરજવર, ભીડને નિયંત્રિત કરવા માટે પાબંધીઓ લગાવવા પર વિચાર કરવાની આવશ્યકતા છે. 46 જીલ્લા 10 ટકાથી વધુ સંક્રમણ બતાવી રહ્યા છે. જ્યારે અન્ય 53માં પાંચથી 10 ટકા વચ્ચે સંક્રમણ દર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ સ્તરે કોઇપણ પ્રકારની છૂટછાટથી આ જીલ્લાઓમાં સ્થિતિ વધુ વણસી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય, મણિપુરમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ રાજ્યોમાં સ્વાસ્થ્ય અધિકારીઓની તરફથી કોરોનાની દેખરેખ, નિયંત્રણ અને વ્યવસ્થા માટે કરવામાં આવેલાં સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોની સમીક્ષા કરવામાં આવી હતી. આ રાજ્યોમાં દરરોજના કેસમાં વધારો કે સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં 10 ટકાથી વધારે સંક્રમણ દર નોંધાયા હોય એવા જીલ્લાઓમાં સંક્રમણને ફેલાવતું અટકાવવા માટે લોકોની અવરજવરને રોકવા કે ઓછી કરવા માટે સખત પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે, હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓના અરકારક ક્લીનિકલ મેનેજમેન્ટને આવરી લેતાં વિવિધ પાસાઓને આવરી લેતી વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરને પહેલાં રાજ્યો સાથે વહેચવામાં આવી છે. જેથી અસરકારક રીતે હોસ્પિટલમાં વ્યવસ્થા કરી શકાય. મંત્રાલયે રાજ્યોને એવા જીલ્લાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા માટે કહ્યું છે કે, જ્યાં સંક્રમણ દર 10 ટકાથી ઓછું હોય, જેથી કરીને આ જીલ્લાઓ અને ત્યાંની વસતીને રસી આપીને સુરક્ષિત કરી શકાય.