Site icon Revoi.in

ચીન ઝૂક્યું, પેંગોંગ ઉત્તર કિનારાથી ઉખાડ્યા તંબૂ-બંકર

Social Share

નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચેનો તણાવ ઓછો થઇ રહ્યો છે. પૂર્વ લદાખના પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી ભારત અને ચીનની સેનાઓની વાપસી પ્રક્રિયા યોજના મુજબ ચાલી રહી છે અને આગામી 6 થી 7 દિવસમાં વાપસીની પ્રક્રિયા પૂરી થવાની સંભાવના છે.

સૂત્રોનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અનેક બંકર, અસ્થાયી ચોકીઓ અને અન્ય માળખાને ઉત્તર કિનારા વિસ્તારમાં હટાવી દીધા છે અને ક્ષેત્રમાં પોતાના સૈનિકોની સંખ્યા ધીમે-ધીમે ઓછી કરી રહી છે. બંને પક્ષોના ફિલ્ડ કમાન્ડર લગભગ રોજ બેઠક કરે છે જેથી વાપસીની પ્રક્રિયાને આગળ વધારી શકાય, જેને નવ ચરણની ઉચ્ચ સ્તરીય સૈન્ય મંત્રણા બાદ ગત સપ્તાહે અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

રક્ષા મંત્રાલયના સૂત્રોનુસાર, પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગશે અને બંને પક્ષ સૈનિકો અને ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્યા છે. નવ મહિનાના ગતિરોધ બાદ બંને દેશની સેનાઓ પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી વાપસી પર સહમત થયા છે જે મુજબ બંને પક્ષોને ચરણબદ્વ, સમન્વિત અને સત્યાપિત રીતે સેનાઓને અગ્રિમ મોરચાથી હટાવવાની છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ગત ગુરુવારે સંસદમાં વાપસી સમજૂતી પર વિસ્તૃત નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે. રક્ષા મંત્રીએ એલાન કર્યું હતું કે ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે, જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે.

રાજ્યસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે LACમાં કોઈ ફેરફાર ન થાય અને બંને દેશોની સેનાઓ પોતપોતાના સ્થળે પહોંચી જાય. આપણે એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ.

(સંકેત)