Site icon Revoi.in

શીખ શ્રદ્વાળુઓને ગુરુ પર્વની ભેટ, 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલશે

Social Share

નવી દિલ્હી: ગુરુ પર્વને આડે હવે એક દિવસ બાકી છે ત્યારે શીખ સમુદાયના શ્રદ્વાળુઓ માટે એક ખુશખબર છે. ગુરુ પર્વને ધ્યાનમાં રાખતા મોદી સરકેર 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ માધ્યમથી જાણકારી આપી હતી કે, તેનાથી મોટી સંખ્યામાં શીખ તીર્થ યાત્રીકોને ફાયદો થશે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવ જી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની શ્રદ્વાને દર્શાવે છે.

આગામી ગુરુ પર્વ અગાઉ પંજાબ ભાજપના નેતાઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરીને કરતારપુર કોરિડોર ખોલવાની માંગ કરી હતી. પ્રતિનિધિમંડળે 19 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ પહેલા આ કોરિડોરને ખોલવાની અપીલ કરી હતી. જેથી શ્રદ્વાળુ પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારામાં જઇને માથુ ટેકાવી શકે.

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે થનારી છે ત્યારે રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મોદી સરકારના આ નિર્ણયથી પંજાબ ભાજપને ફાયદો થઇ શકે છે. અગાઉ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પણ પીએમ મોદીને અપીલ કરી હતી કે કરતારપુર કોરિડોર ફરી ખોલવામાં આવે. તેમણે ભલામણ કરી હતી કે, આ મહિને શીખ ગુરુ નાનક દેવ જયંતિ અને પ્રકાશ પર્વને ધ્યાનમાં રાખતા કરતારપુર કોરિડોર ફરી ખોલવામાં આવે.

અત્રે જણાવવાનું કે, 9 નવેમ્બર 2019ના રોજ પીએમ મોદીએ આ કોરિડોરનું ઉદ્વાટન કર્યું હતું. ઓગસ્ટના મહિનામાં પાકિસ્તાને ભારત સહિત 11 દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડેલ્ટા વેરિએન્ટના કહેરને કારણે પાકિસ્તાને 22 મેથી લઇને 12 ઑગસ્ટ સુધી ભારતને સી કેટેગરીમાં રાખ્યું હતું.

Exit mobile version