Site icon Revoi.in

પીએમ મોદીનો ભાજપના કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ, આ મુદ્દે કરી વાત

Social Share

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તમામ રાજકીય પક્ષો ડિજીટલ રીતે પ્રચાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી રોડ શો અને રેલીઓ પર રોક લગાવી છે. પીએમ મોદીએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીના બીજેપીના કાર્યકરો સાથે ડિજીટલી સંવાદ કર્યો હતો.

નેચરલ ફાર્મિંગના મહત્વ વિશે વાત કરતા પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે, આપણે નેચરલ ફાર્મિંગ પર ભાર મૂકવો જોઇએ. ખેડૂતોને કેમિકલ ફ્રી ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આપણે દરેકને આઝાદીના અમૃત મહોત્સવ સાથે જોડવા જોઇએ.

આપને જણાવી દઇએ કે ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી ત્યારબાદ પીએમ મોદીએ પ્રથમવાર બીજેપી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.

દેશમાં કોવિડનો કહેર વધી રહ્યો છે આ વચ્ચે ચૂંટણી પંચ 22 જાન્યુઆરીના રોજ એકવાર ફરીથી કોવિડની સ્થિતિને લઇને સમીક્ષા કરશે અને રોડ શોની મંજૂરી પર વિચાર કરશે. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ ઇનડોર રેલીમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોને સામેલ થવાની પરવાનગી આપી શકે છે.

નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્વિમી ભાગના 11 જીલ્લાની 58 બેઠકો પર મતદાન થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીએ 60 બેઠકો પર, ત્રણ માર્ચના 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ 54 બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવશે.