Site icon Revoi.in

પીએમ મોદીની સુરક્ષામાં છીંડાથી રાષ્ટ્રપતિ પણ ચિંતિત, પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સમગ્ર ઘટનાથી અવગત કર્યા

Social Share

નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સામે આવેલી સુરક્ષામાં ચૂકને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ ત્યારબાદ પીએમને મળવા માટે બોલાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી.

અત્યારે પંજાબ પોલીસ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્ની સરકાર સવાલોના ઘેરામાં છે. અત્યાર સુધી તપાસમાં જે કેટલાક તથ્યો સામે આવ્યા છે તેમાં પંજાબ પોલીસ અને પંજાબ સરકારની ગંભીર બેદરકારીઓ સામે આવી છે. પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને આવતીકાલે આ મામલે સુનાવણી પણ થવાની છે.

પંજાબ સરકારે જો કે આ મામલે હવે તપાસ માટે એક કમિટીની રચના કરી છે. આ સમિતિ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પસેથી વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે. પીએમ મોદી પંજાબમાં હતા. તેઓ ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ મ્યુઝિયમ જઇ રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો હુસૈનવાલા ફ્લાયઓવર પાસે પહોંચ્યો ત્યારે આંદોલનકારીઓ પહેલાથી જ ત્યાં હતા.

ફ્લાયઓવર પર દેખાવકારોની હાજરીને કારણે પીએમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. ત્યારબાદ પીએમ મોદીને પોતાનો પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી હતી.