Site icon Revoi.in

કોરોનાની હજુ ત્રીજી લહેર પણ આવશે, તૈયારી રાખવી જરૂરી: વિજય રાઘવન

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે હવે ત્રીજી લહેરની પણ દહેશત વર્તાઇ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે આવશે તેનો ખ્યાલ નથી. પરંતુ નવી લહેરોની તૈયારી શરૂ કરવાની જરૂર છે.

કોરોનાની ત્રીજી લહેર પર વાત કરતા કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેને કોઇ રોકી શકશે નહીં. પરંતુ આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આપણે દરેક રીતે સજ્જ રહેવું પડશે.

કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અનુસાર, દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાના પ્રતિદિન આવતા કેસોમાં તેજીનું વલણ છે. લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારને લઈને ચિંતા છે. બેંગલુરૂમાં એક સપ્તાહમાં આશરે 1.49 લાખ કેસ સામે આવ્યા છે. ચેન્નઈમાં 38 હજાર કેસ આવ્યા છે.

ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણની અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી રસીના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આ સિદ્ધિ હાસિલ કરવામાં 109 દિવસનો સમય લાગ્યો છે.

(સંકેત)