અમદાવાદઃ થાઈલેન્ડના બેગકોકમાં નવેમ્બર મહિનામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દુનિયાના વિવિધ દેશોમાં વસવાટ કરતા અગ્રણી હિન્દુઓ, ઉદ્યોગપતિઓ અને નવી-નવી શોધ કરનાર સંશોધકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોની બેઠક મળશે. જેમાં તેઓ પોતાના વિચારો અને નવા-નવા સંશોદનનું આદાન-પ્રદાન કરશે.
વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી શ્રી સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે, નવેમ્બરમાં તા. 24થી 26મી સુધી બેંગકોકમાં વિશ્વ હિન્દુ કોન્ફરન્સ યોજાશે. જેમાં વિવિધ બેઠકોમાં અર્થશાસ્ત્ર (ઈકોનોમી), એજ્યુકેશન, રાજકારણ સહિતના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા આગેવાનો પણ મોટી સંખ્યામાં કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાના લગભગ 200 દેશોમાં હિન્દુઓ વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં 80 દેશમાં વધારે સંખ્યામાં હિન્દુઓ વસવાટ કરી રહ્યાં છે. આ હિન્દુઓ જે તે દેશમાં સરકાર ઉપર બોજ બનતા નથી. તેઓ જે તે દેશમાં ઈકોનોમીમાં કોન્ટ્રીબ્યુશન કરી રહ્યાં છે. એટલું જ નહીં આરોગ્ય, એજ્યુકેશન, આર્ટ-કલ્ચર વગેરે સહિતના ક્ષેત્રોમાં ભાગીદાર બન્યાં છે. દુનિયાના વિવિધ દેશોમાં વસવાટ કરતા હિન્દુઓના વિચારો અને નવા-નવા સંશોધન અન્ય સુધી પહોંચે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
નોંધઃ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં રજિસ્ટ્રેશન માટે આ લીંક ઉપર ક્લીક કરો (https://www.worldhinducongress.org/)