Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ 10 આતંકીઓ વિરુદ્ધ 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી, મોટા ખુલાસા

Social Share

નવી દિલ્હી, 14 મે 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ દિલ્હીની વિશેષ અદાલતમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટના કેસમાં 7,500 પાનાની વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. 10 નવેમ્બર, 2025 ના રોજ થયેલા આ આત્મઘાતી હુમલામાં 11 નિર્દોષ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એજન્સીએ આ હુમલામાં સંડોવાયેલા 10 આતંકીઓને નામજદ કર્યા છે.

એનઆઈએના જણાવ્યા અનુસાર, તમામ 10 આરોપીઓ આતંકી સંગઠન ‘અંસાર ગઝવત-ઉલ-હિંદ’ સાથે જોડાયેલા હતા. આ સંગઠન આંતરરાષ્ટ્રીય આતંકી જૂથ અલ-કાયદાથી પ્રેરિત હોવાનું મનાય છે. આ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઉમર ઉન નબી હતો, જેનું આ ધડાકામાં મોત નીપજ્યું હતું. મુખ્ય આરોપી ઉમર ઉન નબી ઉપરાંત એનઆઈએએ અન્ય 9 આતંકીઓ વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા છે, ચાર્જશીટમાં આતંકવાદી તરીકે આમિર રાશિદ મીર, જસીર બિલાલ વાની, ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. અદીલ અહેમદ રાથર, ડો. શાહીન સઈદ અને ડો. બિલાલ નસીર મલ્લા, મુફ્તી ઈરફાન અહેમદ વાગે તથા સોયાબ અને યાસિર અહેમદ ડારનો સમાવેશ થાય છે.

આ કેસની તપાસ જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી-એનસીઆર સુધી વિસ્તરેલી હતી. તપાસ દરમિયાન એનઆઈએએ અત્યંત મજબૂત પુરાવા એકત્ર કર્યા છે. એનઆઈએએ 7500 પાનાની ચાર્જશીટમાં 588 સાક્ષીઓના નિવેદન, 395થી વધારે દસ્તાવેજો અને 200થી વધુ જપ્ત કરાયેલી વસ્તુઓનો ઉલ્લેખ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 10 નવેમ્બરે લાલ કિલ્લા જેવા વ્યસ્ત વિસ્તારમાં કાર બ્લાસ્ટ કરીને રાજધાનીને હચમચાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આતંકી મોડ્યુલે કેવી રીતે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નેટવર્ક ફેલાવ્યું હતું તેની વિગતો પણ ચાર્જશીટમાં આપવામાં આવી છે. કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી હાથ ધરશે.

આ પણ વાંચોઃ BSF હેડક્વાર્ટર બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ ઝડપાયો, પાકિસ્તાની કનેક્શન ખુલ્યું

Exit mobile version