નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગોવા, હરિયાણા, કેરળ, મણિપુર, મિઝોરમ, પંજાબ, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સચિવ (RT&H), માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH), NHAIના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો/સચિવો (પરિવહન) અને પરિવહન કમિશનરોએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
મીટિંગનો ઉદ્દેશ્ય ગતિ મર્યાદાની સમીક્ષા, વાહન ફિટનેસ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક બસોના ધિરાણ અને લર્નર્સ લાયસન્સના ઓટોમેશન સહિત માર્ગ પરિવહન સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો અને પરસ્પર સહકાર અને પરામર્શ દ્વારા નવા અને નવીન ઉકેલો શોધવાનો હતો. આ બેઠકમાં રાજ્યોમાં સ્વૈચ્છિક વાહન ફ્લીટ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (VVMP) ના અમલીકરણની સ્થિતિ, ખાસ કરીને મહત્વપૂર્ણ ATS ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ફરજિયાત સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ વ્યવસ્થાના અમલીકરણની સફળતા માટે જરૂરી સમર્થન પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે ભારત સરકારે પરિવહન ક્ષેત્રમાં ઉત્સર્જન ઘટાડવાના પગલા તરીકે ઇલેક્ટ્રિક બસોને અપનાવવા માટે ઘણી પહેલ શરૂ કરી છે. બસ ઓપરેટરો/ઓઈએમના નાણાકીય જોખમોને ઘટાડવા અને ઈલેક્ટ્રિક બસોને અપનાવવામાં ખાનગી ભાગીદારીમાં સુધારો કરવા માટે નવા બિઝનેસ મોડલની શોધ કરવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઈલેક્ટ્રીક બસોની ખરીદી અને સંચાલન માટે નવીન ફાઈનાન્સીંગ મિકેનિઝમ વિકસાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.