Site icon Revoi.in

એશિયા કપમાં કોઈ ફેરફાર નહીં, ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપ 2023ની મેચ માત્ર શ્રીલંકામાં જ રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે માત્ર 4 મેચનું આયોજન કરશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.

એશિયા કપ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે ડરબનમાં ICC બોર્ડની બેઠક પહેલા જય શાહ અને ઝકા અશરફે અનૌપચારિક બેઠક કરી હતી. આ અંગે આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમારા સચિવ પીસીબીના વડા ઝકા અશરફને મળ્યા અને એશિયા કપના શેડ્યૂલ અંગે ચર્ચા કરી જે હવે આગળ વધી ગઈ છે.

અરુણ ધૂમલે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ આગામી એશિયા કપમાં તેની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે. તેમણે કહ્યું કે, એશિયા કપ 2023માં લીગ સ્ટેજની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે, ત્યારબાદ બાકીની મેચો શ્રીલંકામાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 મેચનો સમાવેશ થાય છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી જય શાહને એશિયા કપ દરમિયાન પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે અરુણ ધૂમલે કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી, ન તો ભારતીય ટીમ ત્યાં જઈ રહી છે કે ન તો સચિવ જય શાહ પાકિસ્તાનની મુલાકાત લેશે. આ બેઠક માત્ર એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે કરવામાં આવી છે.

(Photo-File)