Site icon Revoi.in

હવે પિટબુલ સહિત 24 પ્રજાતિના વિદેશી શ્વાન હવે લોકો પાળી નહીં શકે

Social Share

નવી દિલ્હીઃ પીટબુલ, અમેરિકન બુલડોગ અને રોટવીલર સહિત લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહેલી 24 વિદેશી જાતિના શ્વાન પાળવા પર દિલ્હી સહિત કોઈપણ રાજ્યમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાંથી કોઈપણ જાતિના શ્વાનોની  આયાત કર્યા પછી, તેમના સંવર્ધનને પણ દેશમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં, જે લોકો પાસે આ જાતિના શ્વાન છે તેઓને ખસી કરાવવી પડશે જેથી કરીને તેમની સંખ્યા વધતી અટકાવી શકાય.

હાલમાં જ દેશમાં વિદેશી જાતિના શ્વાનોનો શિકાર બનતા લોકોના વીડિયો વાયરલ થયા હતા. જેથી ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયને સતત ફરિયાદો મળી રહી હતી. તાજેતરમાં જ આવી ઘટના દિલ્હીમાં બની હતી. અહીં NDMC વિસ્તારમાં વિદેશી જાતિના શ્વાને એક માસૂમ બાળકી પર હુમલો કરીને તેને મારી નાખી હતી. ડેરી મંત્રાલયે પશુપાલન કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

સમિતિમાં વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા ઓળખવામાં આવેલા વિદેશી જાતિના શ્વાનોમાં પિટબુલ, અમેરિકન બુલડોગ, રોટવીલર સહિત 24 વિદેશી જાતિના શ્વાનોને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આને પ્રતિબંધિત શ્વાન કહેવામાં આવે છે. હવે આમાંથી કોઈપણ જાતિના શ્વાનોની આયાત, સંવર્ધન અને ખરીદ-વેચાણ દેશમાં ગેરકાયદેસર ગણાશે.

સૂત્રોએ જણાવ્યું કે, દિલ્હી સિવાય દેશના અન્ય રાજ્યોમાં વિદેશી જાતિના કૂતરાઓના ખરીદ-વેચાણનું મોટું બજાર છે. શ્વાનની કિંમત લાખોમાં ચાલી રહી હોવાને કારણે દેશમાં વિદેશી કૂતરાઓનું સંવર્ધન અને વેચાણ કરીને મોટો નફો થઈ રહ્યો છે, તેથી કૂતરાઓના ખરીદ-વેચાણનું લાયસન્સ આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધિત જાતિના કૂતરા પાળનારાઓનું શું થશે? આ પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું કે કૂતરાના માલિકે હવે તેને નસબંધી કરાવવી પડશે જેથી કરીને તેનો વધુ ઉછેર ન થઈ શકે.