થોડા દાયકાઓ પહેલા સુધી બ્રેઈન સ્ટ્રોક માત્ર વૃદ્ધોની બીમારી ગણાતી હતી, પરંતુ હવે સ્થિતિ ચિંતાજનક રીતે બદલાઈ રહી છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારતમાં દર 7 સ્ટ્રોક દર્દીઓમાંથી એક દર્દી 45 વર્ષથી ઓછી ઉંમરનો છે. આ રિસર્ચને પ્રતિષ્ઠિત ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્ટ્રોક’માં પણ સ્થાન આપવામાં આવ્યું છે.
વર્ષ 2020 થી 2022 દરમિયાન દેશની 30 મોટી હોસ્પિટલોમાં નોંધાયેલા આશરે 35,000 સ્ટ્રોક કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, કુલ દર્દીઓમાંથી 13.8 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના હતા. જ્યારે યુવા દર્દીઓમાં 60 ટકા થી વધુ પુરુષો હતા. આ ઉપરાંત સ્ટ્રોક આવવાના 24 કલાક પછી 40 ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેના કારણે સારવારમાં વિલંબ થયો અને 30 ટકાના મોત નિપજ્યા.
રિસર્ચ મુજબ, યુવાનોમાં સ્ટ્રોક આવવાનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલીને લીધે થતું હાઈ બ્લડ પ્રેશર છે. સ્ટ્રોકગ્રસ્ત 75 ટકા દર્દીઓને હાઈ બીપીની ફરિયાદ હતી. તેમજ 27 ટકા દર્દીઓ ડાયાબિટીસથી પીડાતા હતા, જ્યારે 20 ટકા દર્દીઓ કોઈપણ સ્વરૂપે તમાકુનું સેવન કરતા હતા. આ ઉપરાંત સ્મોકિંગ, ઊંઘનો ખરાબ પેટર્ન અને ભૂતકાળમાં થયેલી મગજની ઈજા પણ સ્ટ્રોક માટે જવાબદાર છે.
- સ્ટ્રોકના લક્ષણો ઓળખો: વિલંબ જીવલેણ બની શકે
ડોક્ટરોના જણાવ્યા મુજબ શરીરના કોઈ એક ભાગમાં નબળાઈ કે લકવો અનુભવવો, ચહેરો એક તરફ નમી જવો કે ત્રાંસો થવો, બોલવામાં તકલીફ પડવી અથવા અવાજ લથડવો તથા અચાનક અસહ્ય માથાનો દુખાવો થવા જેવા લક્ષ્ણો જોવા મળે તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરીને યોગ્ય સારવાર લેવી.
- બચાવ માટે શું કરવું?
દર 6 થી 8 મહિને બ્લડ પ્રેશર ચેક કરાવવુ, રોજ ઓછામાં ઓછી 30 મિનિટ ઝડપી ચાલવાની આદત પાડવી, તમાકુ, સિગારેટ અને દારૂથી દૂર રહવુ, તથાખોરાકમાં મીઠા (નમક) નું પ્રમાણ ઓછું રાખવું અને પૂરતી ઊંઘ લેવી જોઈએ.

