નવી દિલ્હી, 27 મે 2026: India’s shout at the UN સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર ભારતે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે, તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ સાથે જ ભારતે પોતાની રક્ષા કરવા માટે કોઈપણ હદ સુધી જવાનો પોતાનો સંકલ્પ પણ દોહરાવ્યો છે.
સુરક્ષા પરિષદ (Security Council) ની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાન સામે પ્રહારો કરતા કહ્યું કે, “પાકિસ્તાને તમામ પ્રકારના આતંકવાદને મળતું પોતાનું સમર્થન વિશ્વસનીય અને કાયમી ધોરણે બંધ કરવું જ પડશે. પાકિસ્તાને એ સ્વીકારવું પડશે કે ક્રોસ-બોર્ડર આતંકવાદને સ્પોન્સર કરવાના ગંભીર પરિણામો આવે છે અને ભારત પાસે આવા આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.”
પાકિસ્તાનના ખોખલા દાવાઓનો પર્દાફાશ
યુએન ચાર્ટરના સિદ્ધાંતો પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહેમદે કાશ્મીરનો બિનજરૂરી રાગ આલાપ્યો હતો. જેના જવાબમાં પી. હરીશે પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું કે, ભારતને “1,000 ઘા મારીને લોહીલુહાણ કરવાની” પાકિસ્તાનની સત્તાવાર નીતિ જ તેના યુએન ચાર્ટર પ્રત્યેના ખોખલા દાવાઓને ખુલ્લા પાડે છે. પાકિસ્તાન પોતાની સ્થાપનાકાળથી જ આતંકવાદ, ધાર્મિક કટ્ટરવાદ અને ભારત વિરોધી પ્રચારના જોરે જીવી રહ્યું છે.
કાશ્મીર મુદ્દે ઇતિહાસનો અરીસો બતાવ્યો
પાકિસ્તાની પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે સુરક્ષા પરિષદના પ્રસ્તાવો છતાં કાશ્મીર વિવાદ ઉકેલાયો નથી. આના જવાબમાં ભારતે યાદ અપાવ્યું કે પ્રસ્તાવનો અનાદર ખુદ પાકિસ્તાને જ કર્યો છે:
સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ ૪૭ (૨૧ એપ્રિલ, ૧૯૪૮): આ પ્રસ્તાવ મુજબ પાકિસ્તાને કાશ્મીરમાંથી પોતાના સૈનિકો, ઘૂસણખોરો અને આતંકીઓને તાત્કાલિક પાછા ખેંચવાના હતા.
પાકિસ્તાનની પીછેહઠ: પાકિસ્તાને આજદિન સુધી આ શરતનું પાલન કર્યું નથી, જેના કારણે આ પ્રસ્તાવ ઇતિહાસના પાનાઓમાં દબાઈ ગયો છે. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું કે, જમ્મુ-કાશ્મીર સંપૂર્ણ, કાયદાકીય અને અફર રીતે ભારતનો જ એક ભાગ બની ચૂક્યું છે. પાકિસ્તાને વારંવાર યુદ્ધો છેડીને અને સરહદ પારથી આતંકવાદ ફેલાવીને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
ભારતનું ગૌરવપૂર્ણ મૌન
ચર્ચાના અંતે પાકિસ્તાને હતાશામાં ફરી એકવાર કાશ્મીર અને ‘હિંદુત્વ’ અંગે પૂર્વ-આયોજિત પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. જોકે, ભારતે પાકિસ્તાનના આ નીચલા સ્તરના નિવેદનોને સદંતર નજરઅંદાજ કરીને, તેને ગણતરીમાં લેવા યોગ્ય પણ ન સમજીને ગૌરવપૂર્ણ મૌન જાળવ્યું હતું.

