અમદાવાદઃ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને 17 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવીનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ 85.65 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત ‘ચંદ્રશેખર આઝાદ નગર’ના 280 આવાસો, એસ.જી.હાઇવે પર તારાપુર ખાતે 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના 49.88 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂપાલ મહાભારતના પ્રાચીન કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ છે આ જ વરદાયિની માતાના સાનિધ્યથી પાંડવોએ અધર્મીઓ પર વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ખીજડાના વૃક્ષ નીચે અજ્ઞાતવાસનો પ્રારંભ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ રૂપાલ સ્થિત વરદાયિની માતાના મંદિરનો પ્રસાદ યોજનામાં સમાવેશ કરીને સમગ્ર ભારતના નકશા પર રૂપાલને આગવું સ્થાન મળે તે સુનિશ્ચિત કર્યું છે. પ્રસાદ યોજનામાં સમાવેશ થવાને કારણે રૂપાલમાં વિકાસની તકો વધશે આપણા ઐતિહાસિક વારસાના સ્થાનોને સાંકળી તેમને પુનર્જીવિત કરવામાં આવશે, રોડ-રસ્તા, પાણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર થશે જેનાથી આગામી સમયમાં રૂપાલ એ ગુજરાત અને દેશના સૌથી સુપ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક બનશે.
રૂપાલમાં નિર્માણ પામનાર નવું તળાવ ગામની ગતિવિધિઓનું કેન્દ્ર બનશે. તળાવ પરિસરમાં મોર્નિંગ વોક, પિકનિક સ્પોટ, બાળકોને રમવાની વ્યવસ્થા, પર્યાપ્ત લાઇટિંગ, યોગ-વ્યાયામની સુવિધા, ફૂડ કોર્ટ તેમજ બોટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે સાથે સાથે તળાવની આસપાસ લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષો મારફત વનીકરણ પણ કરવામાં આવશે. વાસણ ખાતે નિર્માણ પામનાર તળાવ પણ ગામના લોકો માટે ઘણું ઉપયોગી સાબિત થશે. આદર્શ ગ્રામ યોજના હેઠળ ગાંધીનગરના ત્રણ ગામ દેશમાં એક થી પાંચ ક્રમાંકમાં આવ્યા છે અને તેમાં પણ આપણું બિલેશ્વર ગામ પ્રથમ ક્રમાંકે આવ્યું છે તે ખૂબ આનંદની વાત છે.
શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા એકત્રિત કરાયેલી 120 કિલો રજતનો ઉપયોગ ધાર્મિક સ્થાનોના વિકાસ માટે કરવાના નિર્ણયને આવકારી અમિત શાહે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રૂપાલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.