Site icon Revoi.in

કોરોનાની દહેશતઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં OPD સ્ક્રીનિંગ એરિયા ઉભો કરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરની સરકારી હોસ્પિટલોમાં મંગળવારે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને ‘મોક ડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમ્યાન અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાધેલા, એડિશન મેડિકલ સુપરિટેડેન્ટ ડો. રજનીશ પટેલ, આર.એમ.ઓ. ડો. સંજય કાપડીયા સહતિ સિનિયર ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ મોકડ્રિલ દરમ્યાન કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા, બેડની ઉપલ્બધતા તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી. હોસ્પિટલ પરિસરમાં ઓપિડી સ્ક્રીનિંગ એરિયા ઉભો કરવામાં આવ્યો છે.

અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશન મેડિકલ સુપરિટેડેન્ટ ડો. રજનીશ પટેલે કહ્યું કે, કોવિડ શંકાસ્પદ દર્દી જ્યારે હોસ્પિટલ પરિસરમાં પહોંચે ત્યારે કેવી રીતે તબક્કાવાર તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અટેન્ડ કરવામાં આવશે તેની જાણકારી ડમી દર્દી દ્વારા ઉપસ્થિત સૌને મોકડ્રિલ દ્વારા આપવામાં આવી હતી. આ માટે હોસ્પિટલ પરિસરમાં ઓપિડી સ્ક્રીનિંગ એરિયા ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં કોવિડના શંકાસ્પદ દર્દીની તપાસ કરવામાં આવશે. થર્મલ ગન અને ઓક્સિજન લેવલની તપાસ બાદ જો જરૂર હોય તો દર્દીને કોવિડ ટેસ્ટ માટેના વિભાગમાં રિફર કરવામાં આવશે. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. હાલમાં હોસ્પિટલમાં 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે તો વધુ 300 બેડની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આ સાથે 20 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ પણ તૈયાર છે. આમ, શંકાસ્પદ દર્દી હોસ્પિટલ આવે ત્યારથી લઈને વેન્ટિલેટર સહિત સારવારની તમામ સુવિધાઓ હોસ્પિટલ દ્વારા ઊભી કરી દેવામાં આવી છે.

અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાધેલાએ કહ્યું કે, હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એકપણ કોવિડ દર્દી નથી. તેમ છતાંય રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સુવિધાઓ હોસ્પિટલમાં ઊભી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, જરૂરી દવાનો સ્ટોક, સેનેટાઇઝર, માસ્ક, પુરતો સ્ટાફ, પીપીઇ કીટ સહિતનો સ્ટોક પૂરતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  આ પ્રસંગે  દર્શનાબેન વાધેલાએ સૌ નાગરિકોને માસ્ક પહેરવાની તેમજ જે નાગરિકોને પ્રિકૉશન ડોઝ  લેવાનો બાકી હોય તેઓને ડોઝ લઇ લેવાની અપિલ પણ કરી હતી.