રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ તો આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ ખાદ્યતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારૂ એવું થયું હતું એટલે સસ્તાભાવે સિંગતેલ મળશે એવી લોકોને આશા હતી. પણ કહેવાય છે કે, મોટાભાગના સિંગદાણાની વિદેશમાં નિકાસ થઈ જતાં ભાવો ઉચકાયા હતા. તેલના વિક્રેતાઓ સટ્ટા બજારને લીધે ભાવ વધતા હોવાનું કહી રહ્યા છે. ભાવ નિયંત્રણમાં લેવા માટે સરકારનું કોઈ નિયંત્રણ હોય એવું લાગતું નથી. જોકે છેલ્લા ચાર-પાંચ દિવસથી તેલના ભાવ વધારાનો વિરોધ થતાં ખાદ્યતેલોમાં અંદાજીત છ-સાત મહિના સુધી બેફામ તેજી રહ્યા બાદ હવે તેના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ ભાવોમાં ઘટાડાનો દોર છે.
સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીનનાં ભાવોમાં ગાબડા પડયા હતા. વેપારીઓનાં કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં મંદી, વાયદામાં તૂટતા ભાવ તથા સરકાર દ્વારા તેજીને ડામવા માટે આયાત જકાત ઘટાડા જેવા પગલા લેવામાં આવશે. તેવી અટકળોથી માનસ નબળુ પડી ગયુ છે. તેજી ગ્રુપ પણ પક્કડ છોડવા લાગ્યુ હોવાની છાપ છે. આ સિવાય ચોમાસું વહેલુ હોવાની તથા બે દિવસમાં જ એન્ટ્રી થઈ જવાની આગાહીથી પણ મોરલ નબળુ પડયુ છે.રાજકોટમાં દસ કિલો સીંગતેલનો ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 2500 થી પણ નીચો આવી ગયો હતો. કપાસીયા તેલ વોશ ઘટીને 1140 હતું. ટેકસપેઈડ ડબ્બો 2300 પર આવી ગયો હતો. પામોલીન ડબ્બામાં 25 રૂપિયાનું ગાબડુ પડતા ભાવ 2020 થી 2025 થયો હતો.