- સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર થયું
- મગફળી અને કપાસનું વધારે વાવેતર થશે
- 15મી જુલાઈએ વાવણી પૂર્ણ થવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થઈ ગયો છે, બીજી તરફ ખેડૂતો પણ વાવણીમાં જોતરાયાં છે. દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 3.53 લાખ હેકટર જમીનમાં વાવણી થઈ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે આ સમયમાં 2.18 લાખ હેકટરમાં વાવણી થઈ હતી. ખેડૂતોએ મુખ્યત્વે કપાસ, મગફળી, તુવેર અને શાકભાજીનું વાવેતર કર્યું છે. ગત વર્ષે ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળ્યા હોવાથી ચાલુ વર્ષે કપાસ અને મગફળીનું જંગી વાવેતર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં 2.53 લાખ હેકટરમાં વાવેતર થયું છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 1.99 લાખ હેકટર જમીનમાં વાવેતર થયું છે. જ્યારે કચ્છમાં 23,400, ઉત્તરગુજરાતમાં 20,700, મધ્ય ગુજરાતમાં 8400 અને દક્ષિણ ગુજરાતમાં 1400 હેકટરમાં વાવેતર થયાનું જાણવા મળે છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી વાવેતર પણ વધવાની શકયતા છે. હાલ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યાર સુધીમાં વરસાદ વરસી ચુક્યો છે. તેમજ આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે લગભગ 15મી જુલાઈના આસપાસ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થવા થશે. ચાલુ વર્ષે કપાસ અને મગફળીનું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે. દિવાળીના તહેવાર ટાંણે મગફળી બજારમાં આવશે. જ્યારે હોળીના તહેવરામાં કપાસ બજારમાં આવે તેવી સંભાવના છે.
(Photo-file)