નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે જોડાયેલા સુધારા વિધેયક ‘ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું સંરક્ષણ) સંશોધન બિલ, 2026’ ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ નવા કાયદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને શારીરિક નુકસાન પહોંચાડવા બદલ ગુનાની ગંભીરતા મુજબ અલગ-અલગ સજાની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા મંત્રાલય દ્વારા 30 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ કાયદાના અમલીકરણની તારીખ જાહેર કરશે.
આ બિલનો મુખ્ય હેતુ ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દની ચોક્કસ વ્યાખ્યા નક્કી કરવાનો છે. જોકે, આ નવા સંશોધનમાં સમલૈંગિક પુરુષો અને સમલૈંગિક મહિલાઓને આ કાયદાના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. બિલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાયદો માત્ર એવા વિશિષ્ટ વર્ગ માટે છે જેઓ સામાજિક અને સાંસ્કૃતિક રીતે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખાય છે અને ગંભીર ભેદભાવનો સામનો કરે છે. તે તમામ પ્રકારની જેન્ડર આઈડેન્ટિટી કે સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને આવરી લેતું નથી.
સંસદના બંને ગૃહોમાં ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ આ બિલની કડક ટીકા કરી હતી. વિપક્ષનો મુખ્ય વાંધો હતો કે, કોઈ વ્યક્તિ ટ્રાન્સજેન્ડર છે કે નહીં તે નક્કી કરવા માટે એક ઓથોરિટી (સત્તામંડળ) ની રચના કરવામાં આવી છે, જેને વિપક્ષે વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ગણાવી છે. વિપક્ષના મતે, સમલૈંગિકોને બહાર રાખવાથી તેમની સ્વ-ઓળખ અને આત્મનિર્ણયના અધિકાર છીનવાઈ જાય છે. વિપક્ષે આ બિલને વ્યાપક ચર્ચા-વિચારણા માટે સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) પાસે મોકલવાની માંગ કરી હતી, જે સરકારે ફગાવી દીધી છે.
સરકારે બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો ઉદ્દેશ્ય અત્યંત દમનકારી સામાજિક પરિસ્થિતિઓમાં જીવતા ટ્રાન્સજેન્ડર સમુદાયના હિતોનું રક્ષણ કરવાનો છે. બિલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે તે દરેક પ્રકારની ‘લેંગિક તરલતા’ ધરાવતી વ્યક્તિઓના રક્ષણ માટે નથી, પરંતુ જેઓ ખરેખર સામાજિક રીતે ટ્રાન્સજેન્ડર તરીકે સ્થાપિત છે તેમના ઉત્થાન માટે છે.
આ પણ વાંચોઃ હવાઈ મુસાફરો મોંઘી થશે: જેટ ફ્યુઅલના ભાવમાં 115 ટકા સુધીનો વધારો

