Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે લેખ લખ્યો, જાણો શું કહ્યું?

Prime Minister Narendra Modi wrote an article about Somnath Temple

Prime Minister Narendra Modi wrote an article about Somnath Temple

Social Share

નવી દિલ્હી, 5 જાન્યુઆરી, 2026 – Prime Minister Narendra Modi wrote an article about Somnath Temple વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે આજે એક લેખ લખ્યો છે. નરેન્દ્ર મોદી વેબસાઈટ (https://www.narendramodi.in/somnath-swabhiman-parv-a-1000-years-of-unbroken-faith-1026-2026-601196) ઉપર પ્રકાશિત આ લેખમાં વડાપ્રધાને સોમનાથ મંદિરની મહત્તા વિશે વિસ્તૃત વાત કરી છે. ઈસ્લામિક આક્રમણો છતાં સનાતનની આસ્થાની આ ધરી 1000 વર્ષથી ટકી રહી છે. નોંધપાત્ર છે કે, નરેન્દ્રભાઈ પોતે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

લેખનો પ્રારંભ વડાપ્રધાને સંસ્કૃત શ્લોક સાથે કર્યો છે, આ આ અનુસાર છેઃ  “सोमलिङ्गं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते। लभते फलं मनोवाञ्छितं मृतः स्वर्गं समाश्रयेत्॥” પીએમ મોદી લખે છે કે, શાસ્ત્રોક્ત વચનો મુજબ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થઈ મનોવાંછિત ફળ મેળવે છે. પરંતુ લાખો લોકોની આસ્થાના આ કેન્દ્ર પર વિદેશી આક્રમણખોરોએ અનેકવાર હુમલા કર્યા, જેમનો ઉદ્દેશ્ય ભક્તિ નહીં પણ ધ્વંસ હતો.

વડાપ્રધાને સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે શું કહ્યું?

વર્ષ 2026 સોમનાથ માટે ઐતિહાસિક છે. જાન્યુઆરી 1026માં મહમદ ગઝનવીએ આ ભવ્ય મંદિર પર પ્રથમ આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે આક્રમણની ક્રૂરતા અને વિનાશના કિસ્સાઓ આજે પણ હૃદય ધ્રુજાવી દે તેવા છે. સોમનાથ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહોતું, પણ તે ભારતની આર્થિક સમૃદ્ધિ અને દરિયાઈ વેપારનું પણ પ્રતીક હતું.

પીએમ લખે છે કે, ગૌરવની વાત એ છે કે, 1000 વર્ષ પછી પણ સોમનાથ મંદિર તેની સંપૂર્ણ ભવ્યતા સાથે અડીખમ ઊભું છે. વિનાશના આક્રમણો સામે ભારત માતાના સંતાનોની અતૂટ હિંમત અને પુનઃનિર્માણના સંકલ્પની આ વિજયગાથા છે. અહલ્યાબાઈ હોલ્કરથી લઈને સ્વામી વિવેકાનંદ સુધીના મહાનુભાવો આ મંદિરની ચેતનાથી પ્રભાવિત રહ્યા છે. વિવેકાનંદે કહ્યું હતું કે, સોમનાથ જેવા મંદિરો સો આક્રમણો અને સો પુનરુત્થાનના સાક્ષી છે, જે આપણી રાષ્ટ્રીય જીવનધારા છે.

આઝાદી પછી સોમનાથના પુનઃનિર્માણનું પવિત્ર કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે ઉપાડ્યું. 11 મે, 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં નૂતન મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા. તે સમયે પંડિત નેહરુ આ બાબતે ઉત્સાહિત નહોતા, પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા. આ કાર્યમાં કનૈયાલાલ મુનશીનું યોગદાન પણ અવિસ્મરણીય છે.

જેમ ગીતામાં કહ્યું છે કે “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ…”, આત્માની જેમ આપણી સંસ્કૃતિ પણ અવિનાશી છે. 1026માં વિનાશ વેરનારા આક્રમણખોરો આજે ઇતિહાસના ધૂળિયા પાનાઓમાં ખોવાઈ ગયા છે, જ્યારે સોમનાથ આજે પણ આશા અને ભક્તિનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. જો 1000 વર્ષના સતત સંઘર્ષ પછી સોમનાથ ફરી બેઠું થઈ શકતું હોય, તો આપણે પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી ભારતને ફરીથી તે જ વૈશ્વિક ગૌરવ અપાવીને ‘વિકસિત ભારત’ના સંકલ્પને ચોક્કસ સિદ્ધ કરીશું.

આ પણ વાંચોઃ ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર અને મેક્સિકો સહિત દુનિયામાં ધરતીકંપના આંચકા

વડાપ્રધાન મોદીએ લખેલો લેખ વાંચો અહીંઃ

સોમનાથ: આસ્થા, અસ્મિતા અને પુનરુત્થાનની અમર ગાથા

“सोमलिङ्गं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते। लभते फलं मनोवाञ्छितं मृतः स्वर्गं समाश्रयेत्॥”

અર્થાત્: માત્ર સોમનાથ શિવલિંગના દર્શન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે, તેની યોગ્ય ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે.

દુર્ભાગ્યવશ, જે સોમનાથ લાખો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર હતું, તેના પર વિદેશી આક્રમણખોરોએ હુમલા કર્યા, જેમનો એજન્ડા ભક્તિ નહીં પણ ધ્વંસ હતો. વર્ષ 2026 સોમનાથ મંદિર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહાન તીર્થસ્થાન પર થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026માં જ મહમદ ગઝનવીએ એક હિંસક અને બર્બર આક્રમણ દ્વારા આસ્થા અને સભ્યતાના મહાન પ્રતીક સમાન આ મંદિરને નષ્ટ કરવા માટે હુમલો કર્યો હતો.

છતાં, એક હજાર વર્ષ પછી પણ સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે આ મંદિર આજે હંમેશની જેમ તેજસ્વી રીતે ઊભું છે. આવું જ એક સીમાચિહ્ન 2026 માં 75 વર્ષ પૂર્ણ કરે છે. 11 મે 1951 ના રોજ એક સમારોહ દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.

એક હજાર વર્ષ પહેલાં 1026માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર ગુજારવામાં આવેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું વિવિધ ઐતિહાસિક વૃત્તાંતોમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તમે તે વાંચો ત્યારે હૃદય કંપી ઊઠે છે. તેની દરેક લાઇન દુઃખ, ક્રૂરતા અને એવા શોકનાં ઉદાહરણ જે સમયની સાથે ભૂંસાવા તૈયાર નથી.

ભારત અને લોકોના મનોબળ પર તેની કેવી અસર થઈ હશે તેની કલ્પના કરો. છેવટે સોમનાથનું ઘણું આધ્યાત્મિક મહત્ત્વ છે. તે દરિયાકિનારે છે, જે આર્થિક ક્ષમતા ધરાવતા સમાજને શક્તિ આપતું હતું, જેના સમુદ્રી વેપારીઓ અને નાવિકો તેની ભવ્યતાની ગાથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.

તેમ છતાં, હું એ જણાવતા ગૌરવ અનુભવું છું કે પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી સોમનાથની વાત વિનાશ દ્વારા વ્યાખ્યાયિત નથી થતી. તે ભારત માતાના કરોડો સંતાનોની અતૂટ હિંમત દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ અન્ય લોકોને સોમનાથ પર વારંવાર હુમલો કરવા માટે ‘પ્રેરિત’ કર્યા. તે આપણા લોકો અને સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ, જ્યારે પણ મંદિર પર હુમલો થયો ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને સ્ત્રીઓ હતા જેઓ તેના રક્ષણ માટે ઊભા થયા અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું. અને દરેક વખતે, પેઢી દર પેઢી, આપણી મહાન સભ્યતાના લોકોએ ફરીથી બેઠા થઈને મંદિરનું પુનઃનિર્માણ અને કાયાકલ્પ કર્યો. તે આપણું સૌભાગ્ય છે કે આપણે એ જ ધરતી દ્વારા પોષાયા છીએ જેણે અહિલ્યાબાઈ હોલ્કર જેવા મહાનુભાવોને પોષ્યા છે, જેમણે સોમનાથમાં ભક્તો પૂજા કરી શકે તે માટે ઉમદા પ્રયાસ કર્યો હતો.

1890ના દાયકામાં સ્વામી વિવેકાનંદે સોમનાથની મુલાકાત લીધી હતી અને તે અનુભવે તેમને હચમચાવી દીધા હતા. 1897માં ચેન્નઈમાં એક વ્યાખ્યાન દરમિયાન તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “દક્ષિણ ભારતનાં આમાંનાં કેટલાક જૂનાં મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને પુસ્તકો કરતાં પણ વધુ જ્ઞાન આપશે, જાતિના ઇતિહાસમાં ઊંડી સમજ આપશે. નોંધ કરો કે કેવી રીતે આ મંદિરો સો આક્રમણો અને સો પુનરુત્થાનના ચિહ્નો ધરાવે છે, સતત નાશ પામે છે અને સતત ખંડેરમાંથી બહાર આવીને પહેલા જેવું જ મજબૂત અને નવું બનીને ઊભું થાય છે! તે રાષ્ટ્રીય મક્કમતા છે, તે રાષ્ટ્રીય જીવન-પ્રવાહ છે. તેને અનુસરો અને તે ગૌરવ તરફ દોરી જશે.”

આઝાદી પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથમાં આવી. 1947માં દિવાળીના સમયે એક મુલાકાતે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે જાહેરાત કરી કે મંદિર ત્યાં જ ફરીથી બનાવવામાં આવશે. અંતે, 11 મે 1951ના રોજ સોમનાથમાં એક ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં ઉપસ્થિત રહ્યા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા માટે જીવિત નહોતા, પરંતુ તેમના સપનાની પૂર્તિ રાષ્ટ્ર સમક્ષ ગર્વભેર ઊભી હતી. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ આ ઘટનાક્રમથી બહુ ઉત્સાહિત નહોતા. તેમણે કહ્યું હતું કે આ ઘટનાથી ભારતની ખરાબ છાપ પડી રહી છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને બાકીનો ઇતિહાસ છે. કે.એમ. મુન્શીના પ્રયાસોને યાદ કર્યા વિના સોમનાથનો કોઈ પણ ઉલ્લેખ અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે ટેકો આપ્યો હતો. ‘Somanatha: The Shrine Eternal’ પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે.

મુન્શીજીના પુસ્તકનું શીર્ષક જે રીતે વ્યક્ત કરે છે તેમ, આપણે એવી સભ્યતા છીએ જે આત્મા અને વિચારોની અનંતતા વિશે પ્રતીતિ ધરાવે છે. આપણે દ્રઢપણે માનીએ છીએ કે જે શાશ્વત છે તે અવિનાશી છે, જેમ કે ગીતાના પ્રખ્યાત શ્લોક “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ…” માં દર્શાવેલું છે. આપણી સભ્યતાની અદમ્ય ભાવનાનું સોમનાથથી ચઢિયાતું બીજું કોઈ ઉદાહરણ હોઈ શકે નહીં, જે તમામ મુશ્કેલીઓ અને સંઘર્ષોને પાર કરીને ગૌરવપૂર્વક ઊભું છે.

આ જ ભાવના આજે આપણા રાષ્ટ્રમાં દેખાય છે, જે સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાછળ છોડીને વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. તે આપણી મૂલ્ય પ્રણાલીઓ અને આપણા લોકોનો સંકલ્પ છે જેણે આજે ભારતને વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બનાવ્યું છે. વિશ્વ ભારતને આશા અને આશાવાદ સાથે જોઈ રહ્યું છે. તેઓ આપણા યુવાનોમાં આશા જુએ છે. આપણી કળા, સંસ્કૃતિ, સંગીત અને અનેક તહેવારો વૈશ્વિક સ્તરે જઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ વિશ્વભરમાં અસર કરી રહ્યા છે. વિશ્વના કેટલાક સૌથી મોટા પડકારોના ઉકેલો ભારત તરફથી આવી રહ્યા છે.

અનાદિકાળથી સોમનાથ મંદિર વિવિધ ક્ષેત્રના લોકોને સાથે લાવ્યું છે. સદીઓ પહેલા, આદરણીય જૈન મુનિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સોમનાથ આવ્યા હતા. એવું કહેવાય છે કે ત્યાં પ્રાર્થના કર્યા પછી, તેમણે એક શ્લોક વાંચ્યો હતો, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।”. અર્થાત્ – તે પરમાત્માને નમસ્કાર જેમાં સાંસારિક હોવાના બીજ નાશ પામ્યા છે, જેમાં વાસના અને તમામ ક્લેશો શમી ગયા છે. આજે પણ સોમનાથ મન અને આત્માની અંદર કંઈક ઊંડું જગાડવાની સમાન ક્ષમતા ધરાવે છે.

1026માં થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી પણ સોમનાથનો દરિયો એ જ તીવ્રતાથી ગર્જના કરે છે જેવો તે સમયે કરતો હતો. સોમનાથના કિનારાને પખાલતા મોજાં એક ઇતિહાસ કહે છે. ગમે તે થાય, આ મંદિર મોજાંની જેમ તે વારંવાર ઉછળતું રહ્યું.

ભૂતકાળના આક્રમણખોરો હવે પવનમાં ધૂળ બની ગયા છે, તેમના નામો વિનાશના પર્યાય છે. તેઓ ઇતિહાસના પાનાઓમાં માત્ર પાદટીપ (footnotes) છે, જ્યારે સોમનાથ તેજસ્વી રીતે ઊભું છે, ક્ષિતિજની પેલે પાર સુધી પ્રકાશ ફેલાવે છે, જે આપણને એ શાશ્વત ભાવનાની યાદ અપાવે છે જે 1026ના હુમલાથી પણ ક્ષીણ થઈ નથી. સોમનાથ આશાનું એ ગીત છે જે આપણને કહે છે કે નફરત અને કટ્ટરતા પાસે એક ક્ષણ માટે નાશ કરવાની શક્તિ હોઈ શકે છે, પરંતુ પ્રામાણિકતાની શક્તિમાં શ્રદ્ધા અને પ્રતીતિ પાસે અનંતકાળ સુધી સર્જન કરવાની શક્તિ છે.

સોમનાથ મંદિર, જેના પર એક હજાર વર્ષ પહેલાં હુમલો થયો હતો અને ત્યારપછી સતત આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો, તે જો વારંવાર ઊભું થઈ શકતું હોય તો આપણે ચોક્કસપણે આપણા મહાન રાષ્ટ્રને તે ગૌરવ અપાવી શકીએ છીએ જે આક્રમણો પહેલા એક હજાર વર્ષ પહેલાં હતું. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે, આપણે ‘વિકસિત ભારત’ બનાવવાના પુનઃ સંકલ્પ સાથે આગળ વધીએ છીએ, જ્યાં સભ્યતાનું જ્ઞાન આપણને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરવા માટે માર્ગદર્શન આપે છે. – નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, ભારત.

Exit mobile version