Site icon Revoi.in

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી ઘાટે અસ્થિઓ અને પીંડના વિસર્જન પર પ્રતિબંધ મુકાતા વિરોધ

Social Share

વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સાંનિધ્યે ત્રણ નદીઓના સંગમ એવા પવિત્ર ત્રિવેણી ઘાટમાં અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિની સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલમાં આવતા હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના ફરજ પરના સિક્યુરિટી સામસામે આવી જતા ઉગ્ર મામલો વધુ ગરમાયો છે.

જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલી હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર કૃષ્ણ ભગવાનએ સ્વંયમ પોતાના સ્વજનોને લઇ ત્રિવેણી સંગમ ઘાટ આવી પિંડદાન કર્યુ હોવાનું શાસ્ત્રોમાં વિદિત છે ત્યારે સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે ત્રિવેણી સંગમ ઘાટ પર અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિની સામગ્રી પઘરાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડયું છે. દરમિયાન આ જાહેરનામાની આજથી સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી દ્વારા અમલવારી કરાવવામાં આવતા અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિ કરતા સ્થાનિક તીર્થ પુરોહિતો રોષે ભરાયાં હતાં

સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા એક પત્રથી જણાવવામાં આવ્યું છે કે, પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીનું જળ ખુબ જ પ્રદૂષિત છે. આ નદીને પ્રદૂષિત થતી અટકાવા ટ્રસ્ટે કલેક્ટરને વિનંતી કરી હતી જેના આધારે કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.