Site icon Revoi.in

પંજાબ ચૂંટણીઃ કોંગ્રેસના 17 ધારાસભ્યોને પડતા મુકવામાં આવે તેવી શકયતા

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન પંજાબમાં કોંગ્રેસ દ્વારા આગામી બે દિવસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. લગભગ 17 ધારાસભ્યોને પડતા મુકવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. જ્યારે બીજી તરફ કેપ્ટન અમિંદરસિંહ ઉપર તમામની નજર મંડાયેલી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી સમિતિની બેઠક પહેલા ઉમેદવારોના નામની પસંદગીને લઈને પંજાબ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની ઘણી બેઠકો થઈ ચુકી છે. કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 30 ધારાસભ્યોના નામ સામેલ છે, જેમને ટિકિટ આપવામાં આવશે, જ્યારે 17 ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું નક્કી મનાય છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી એક-બે દિવસમાં જાહેર કરશે.

કોંગ્રેસે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં ગુરુવારે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપ્યું હતું. પંજાબમાં વિધાનસભાની તમામ 117 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે તા. 10 માર્ચે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.