Site icon Revoi.in

રાજીવ ગાંધીએ ઈન્દિરાજીની સંપત્તિ બચાવવા વિરાસત ટેક્સ રદ્દ કર્યો હતોઃ PM મોદી

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધીએ વિરાસત કાનૂન કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ફરીથી ટેક્સ લગાવવા માંગે છે.

રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, વારસાગત ટેક્સને લઈને દેશની સામે એક મોટી હકીકત સામે આવી છે. આ તથ્યો આંખ ખોલનારી છે. તેમણે કહ્યું કે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું અવસાન થયું ત્યારે તેમની સંપત્તિ તેમના બાળકોને આપવામાં આવતી હતી પરંતુ પહેલા એવો નિયમ હતો કે તેમના બાળકોને મિલકત મળે તે પહેલા સરકાર તેનો હિસ્સો લેતી હતી. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પહેલા પણ આવો કાયદો બનાવી ચૂકી છે.

પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે ઈન્દિરા ગાંધીની સંપત્તિ બચાવવા માટે કાયદો ખતમ કર્યો હતો. જેથી તે સરકાર પાસે ન જાય. જ્યારે તે પોતાની વાત આવી તો તત્કાલિન પીએમ રાજીવ ગાંધીએ વર્ષ 1985માં વારસા કાયદાને નાબૂદ કરી દીધો હતો. હવે તેનું કામ થઈ ગયું છે, કોંગ્રેસ ફરીથી ટેક્સ લાદવા માંગે છે. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ લોકોની સંપત્તિ અને કિંમતી વસ્તુઓનો એક્સ-રે કરાવીને તેમના ઘરેણાં અને નાની બચત જપ્ત કરવા માંગે છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર ધાર્મિક તુષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે મુસ્લિમોને અનામત આપવા માટે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે કોંગ્રેસ ફરીથી ધાર્મિક તુષ્ટિકરણનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તેઓએ કર્ણાટકમાં મુસ્લિમ સમુદાયના તમામ લોકોને ઓબીસી જાહેર કર્યા છે.

પીએમએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે ઓબીસી સમુદાયમાં ઘણા નવા લોકોને જોડ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, પહેલા ઓબીસીને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત મળતું હતું, પરંતુ હવે તેમને જે અનામત મળતું હતું તે છીનવી લેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે હાલ કોંગ્રેસના રાજકુમાર એટલા પરેશાન છે કે તેઓ દરરોજ મોદીનું અપમાન કરવામાં આનંદ લે છે. તેમને મોદી વિશે સારું-ખરાબ કહેવાની મજા આવે છે અને હું તેમને સોશિયલ મીડિયા અને ટીવી પર જોઈ રહ્યો છું. ઘણા લોકો ચિંતા વ્યક્ત કરે છે કે આ ભાષા સારી નથી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન માટે આવી ભાષા બોલવી યોગ્ય નથી. કેટલાક લોકો ખૂબ દુઃખી થાય છે કે મોદીજીને આ રીતે કેમ બોલાવવામાં આવ્યા? મારી દરેકને વિનંતી છે કે, મહેરબાની કરીને દુઃખી ન થાઓ, ગુસ્સો ન કરો. તમે જાણો છો કે આ નામદાર છે, અમે મજૂરો છીએ અને નામદાર સદીઓથી કામદારો સાથે આ રીતે દુર્વ્યવહાર કરતા આવ્યા છે. હું તમારી વચ્ચેથી આવ્યો છું, હું ગરીબીમાંથી બહાર આવ્યો છું.