- ગુજરાતની રાજ્યસભાની 3 બેઠક માટે યોજાશે ચૂંટણી
- 24મી જુલાઈના રોજ યોજાશે ચૂંટણી
અમદાવાદઃ રાજ્યસભાની 10 બેઠકમાં આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકનો સમાવેશ થાય છે. દરમિયાન આજે વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ડો. એસ.જયશંકરએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઇએ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે 24 જુલાઇએ ચૂંટણી પૂ્ર્ણ થયા બાદ સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની જે 3 રાજ્યસભા બેઠકોના સાંસદોનો સમય પૂર્ણ થઈ રહ્યો તેમાં ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે. જેથી વિદેશમંત્રી રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ડૉ. એસ જયશંકરે આજે ગુજરાત વિધાનસભા ખાતે બપોરે 12.39 વાગ્યે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું અને ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આજે ડૉ. એસ. જયશંકર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમના ફોર્મ ભરતી વખતે CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત 10 ટેકેદારો હાજ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, તેમની ટર્મ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી તેમણે ફરી એકવાર ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બીજી તરફ કોંગ્રેસ રાજ્યસભાની આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર નહીં ઉતારે તેવી શકયતા છે.