Site icon Revoi.in

અમદાવાદમાં ફરી કોરોનાના વધતા કેસ: 3 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Social Share

અમદાવાદ:  એક તરફ કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ દેશના પાંચ રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. એવામાં હવે અમદાવાદ શહેરમાં પણ કોરોના ફરી બેકાબૂ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. લાંબા સમય બાદ શહેરમાં 70 જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશને બે ઝોનમાં ત્રણ સોસાયટીઓમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાની યાદી અનુસાર, શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો નોંધાવાની શરૂઆત થતા જ મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે સાવચેતીના પગલા રૂપે તમામ ઝોનના ડે.કમિશનર, હેલ્થ ઓફિસર વગેરેને કોરોનાનું સંક્રમણ વધે નહીં અને પોઝિટિવ કેસોમાં ઓચિંતો ઉછાળો ન આવે તે પહેલા જ કાર્યવાહી કરવાના દિશા નિર્દેશ કર્યા છે.

જેના ભાગરૂપે તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં તથા રોડ ઉપર કોરોના ટેસ્ટિંગના ડોમ શરૂ કરવા અને હોસ્પિટલોમાં ફરી કોરોના વોર્ડ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી શહેરમાં છૂટા છવાયા 40-45 કેસો નોંધાતા રહ્યા હતા, પરંતુ કોઈ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવી પડી નહોતી. લાંબા સમય બાદ દક્ષિણ ઝોનની એક અને ઉત્તર પશ્ચિમ ઝોનની બે સોસાયટીઓમાં કોરોનાના કેસ નોંધાતા 27 જેટલા મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

કયા વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા?
મ્યુનિ. દ્વારા અમદાવાદના દક્ષિણ ઝોનમાં ખોખરાની ભુલેશ્વર સોસાયટીમાં સેકન્ડ લેનના મકાનો, ઉપરાંત ઉ. પશ્ચિમ ઝોનમાં વિશ્વાસ સિટી પાછળ ગોપી રોહાઉસ અને શીલજ રોડ ર હરિહરઆશ્રય બંગ્લોના ચાર મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

(સંકેત)

Exit mobile version