Site icon Revoi.in

જૂનાગઢનો તાજમહલ ટૂંક સમયમાં નવા રંગરૂપમાં જોવા મળશે, 60 % રિનોવેશન પૂર્ણ

Social Share

જૂનાગઢ: રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વર્તમાન સમયમાં હેરિટેજ ઇમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના સંરક્ષણ અને જતન માટે તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢના ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટ કિલ્લો અને મહાબત મકબરાના રિનોવેશનની કામગીરી હાલ ચાલી રહી છે.

જૂનાગઢ શહેરનો મહાબત મકબરા તાજ સમાન છે. જે એક સુંદર શિલ્પકલાનો નમૂનો જૂનાગઢમાં જોવા મળે છે. જો કે રિનોવેશનની કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે. ત્યારબાદ નવા રંગરૂપમાં ઐતિહાસિક ઇમારતો લોકોને જવો માટે ખુલ્લો મુકાશે. ઐતિહાસિક ઇમારતોની રિનોવેશન કામગીરી પૂર્ણ થયા બાદ એક નવા રૂપરંગ સાથે ઐતિહાસિક ઇમારતોને સુંદરતા મળશે અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે આવા સ્થળોનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જૂનાગઢના ઉપરકોટ, મકબરા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાંટમાંથી કામ શરૂ થયું છે. હાલ જૂનાગઢ મહાબત મકબરાનું નવિનીકરણનું કામ શરૂ થયું છે.

નોંધનીય છે કે, ઇ.સ. 1872માં નવાબ મહાબતખાન બીજા  (1851- 82) ની કબર પર આ મકબરો બનાવાયો છે. જેનું સ્થાપત્ય 19મી સદીનાં ઉત્તરાર્ધનું, ઇસ્લામી, હિન્દુ અને યુરોપીયન સ્થાપત્યની મિશ્ર અસરો ધરાવતી જૂનાગઢી રાજઘરાનાં શૈલીનું છે.