Site icon Revoi.in

દેશભરમાં ખુલશે સિનેમાઘરો પરંતુ રાજકોટમાં માર્ચ મહિનાથી ખુલશે

Social Share

રાજકોટ: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ 16 માર્ચથી રાજકોટ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં તમામ સિનેમા ઘરો તેમજ મલ્ટિપ્લેક્સ બંધ કરવામાં આવ્યા હતા. આજથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમા ઘર તેમજ મલ્ટિપ્લેક્સ 100 ટકા ગ્રાહકોની સંખ્યામાં ખોલવાની છૂટ આપવામાં આવી છે. જેથી સિનેમા ઘરો તેમજ મલ્ટિપ્લેક્સના સંચાલકોમાં આનંદની લાગણી વ્યાપી છે પરંતુ રાજકોટમાં મલ્ટિપ્લેક્સ ધારકો માર્ચ મહિનાથી પોતાના સિનેમા ઘરો તેમજ મલ્ટિપ્લેક્સ ખોલશે.

રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ હોવાથી અને હાલમાં કોઇ નવું મૂવિ રિલીઝ ન થવાના કારણે મોટા ભાગના સંચાલકોએ આજથી સિનેમા ઘર ના ખોલવા નિર્ણય લીધો છે.

રાજકોટ શહેરમાં (Rajkot) રિલાયન્સ મોલ (Reliance Mall) ખાતે આવેલ એક જ મલ્ટીપ્લેક્સ 50 ટકા ગ્રાહકોની મર્યાદિત સંખ્યામાં શરૂ છે. જ્યારે કે કોસ્મોપ્લેક્સ ગેલેક્સી સહિતના તમામ સિનેમા ઘર (Theatre) તેમજ મલ્ટિપ્લેક્સ 50 ટકા પ્રેક્ષકો સાથે ખોલવાની છૂટ આપ્યા બાદ પણ હજુ સુધી બંધ હાલતમાં છે.

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના (Gujarat Multiplex Association) ઉપપ્રમુખ અજય બગડાઇ એ જણાવ્યું હતું કે, લોકડાઉનના (Lockdown) કારણે કોઇ ફિલ્મ (Movie) બની શકી નથી અને જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ ટકા પ્રેક્ષકો સાથે સિનેમા ઘર ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમા શો રદ કરવા પડ્યા હતા.

કોરોના મહામારીમાં (Corona Pandemic) કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે જુદા જુદા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ સરકારે હજુ સુધી અમારા સિનેમા ઉદ્યોગને કોઈપણ જાતનું રાહત પેકેજ નથી આપ્યું. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અમારા ઉદ્યોગને તાત્કાલિક અસરથી રાહત પેકેજ આપવું જોઈએ.

બીજી તરફ રાજકોટ સહિત ચાર મહાનગરોમાં હાલ રાત્રી કર્ફ્યુ નું નિર્માણ થયું છે જેના કારણે પણ સિનેમાઘર 100% પ્રેક્ષકો ની છુટ સાથે ખોલવાની અનુમતિ સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ રાત્રિ કરફ્યુ ના કારણે સિનેમાઘરમાં રાત્રી શો ચલાવી શકાય તેમ નથી.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં આશરે 50 અને ગુજરાતમાં 175 જેટલા મલ્ટિપ્લેક્સ થિયટરો છે. રાજકોટમાં કોરોના મહામારીને કારણે સિને ઉદ્યોગને 30 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે જ્યારે કે સમગ્ર ગુજરાતમાં 500 કરોડ રૂપિયાનો અંદાજીત ફટકો પડ્યો હોવાનું અનુમાન છે.

(સંકેત)