Site icon Revoi.in

મંદિરોમાં હવે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ, ભક્તોએ માત્ર હાથ જોડીને કરવી પડશે પ્રાર્થના

Social Share

અમદાવાદ: મંદિરમાં તમે ભક્તોને ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં જોયા હશે. પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાના સમયમાં કોઇપણ વ્યક્તિ સાથે મુલાકાત સમયે તેને ભેટવા કરતા બે હાથ જોડીને નમસ્તે કરવું વધુ સુરક્ષિત રીત છે. ભારત પાસેથી સમગ્ર વિશ્વ આ વાત શીખી છે. ત્યારે ભક્તોએ પણ હવે મંદિરમાં ભગવાન સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરીને સંતોષ માનવો પડશે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ અને અન્ય સ્થળો સહિત મોટા ભાગના મંદિરોએ કોરોના ગાઇડલાઇન્સ બહાર પાડી છે અને મંદિરના પ્રાંગણમાં ભક્તોને સાષ્ટાંગ પ્રણામ ના કરવાની સૂચના અપાઇ છે. આ સિવાય ભક્તો ઘંટ પણ વગાડી શકશે નહીં. તેઓ માત્ર બે હાથ જોડીને ભગવાન સમક્ષ પ્રાર્થના કરી શકશે.

‘જમીન પરથી લોકોને ચેપ ન લાગે તે માટે મંદિરની અંદર દંડવત પ્રમાણ કરવા પર પ્રતિબંધ છે. હકીકતમાં, આરતી દરમિયાન પણ ભક્તોને મંદિરની અંદર ઊભા રહેવાની મંજૂરી નથી. કોવિડ-19 દરમિયાન ભક્તો ભગવાનની પ્રાર્થના કરીને કોઈને સંપર્કમાં આવ્યા વગર મંદિરમાંથી બહાર જતા રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે’, તેમ ભગવાન શિવના ભારતના આવેલા 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના મેનેજર વિજય ચાવડાએ જણાવ્યું હતું.

સાષ્ટાંગ પ્રણામ પર ત્રણ કારણથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તો, તે લોકડાઉન ખુલ્યા બાદ મંદિરો માટેની ગાઈડલાઈન્સનો ભાગ છે. બીજું, ભક્તોને કોઈ પણ ચેપથી સંક્રમિત થતાં બચાવવા માટે અને ત્રીજું અને સૌથી જરૂરી એ ખાતરી કરવા માટે કે શ્રદ્ધાળુઓ ફરતા રહે અને ભીડમાં અન્ય લોકો સાથે મર્યાદિત સંપર્કમાં આવે.

(સંકેત)