Site icon Revoi.in

ગાંધીનગરમાં બીન અધિકૃતરીતે સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓના પગાર,પેન્શન-ભથ્થા અટકાવાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસોમાં કર્મચારીઓ વર્ષોથી વસવાટ કરે છે. ઘણાબધા કર્મચારીઓ નિવૃત થઈ ગયા હોવા છતાં સરકારી મકાનો ખાલી કરતા નથી, તો ઘણા કર્મચારીઓની બદલીઓ થઈ ગઈ હોવા છતાં પણ સરકારી મકાનનો કબજો છોડતા નથી. વિભાગ દ્વારા બિન અધિકૃતરીતે સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓને વારંવાર નોટિસો પણ આપી છે, છતાં મકાનો ખાલી કરતા નથી. આથી હવે  સરકારી આવાસો પર બિનઅધિકૃત રીતે કબ્જો જમાવનારા કર્મચારી અને નિવૃત્ત કર્મચારીને પગાર-ભથ્થાં સહિતના લાભો પર કાપ મુકાય તો નવાઈ નહીં ગણાય.

આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે કર્મચારી-પેન્શનર્સ સામે ઈવિક્શન કેસ ચાલે છે તેઓના લાભો રોકવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા નિયમ પ્રમાણે કર્મચારીઓના સંલગ્ન વિભાગને લેખિત રજૂઆત કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઈવિક્શન કેસમાં પેન્શનર્સ તેમજ કર્મચારીઓની વચગાળાની રાહત, ડીએ તથા ઈન્ક્રીમેન્ટ રોકવા તથા પેન્શન તથા પગારમાં કપાત કરવાના નિયમ પર આગામી સમયે કાર્યવાહી કરવાની શક્યતા જોવાઈ રહી છે. જે માટે હવે પાટનગર યોજના વિભાગ-1 અને ઈવિક્શન શાખા દ્વારા આ અંગે કર્મચારીઓના સંલગ્ન વિભાગને લેખિતમાં જાણ કરીને જરૂરી લાભો રોકવા માટે જાણ કરવાની તૈયારી કરી હોવાનું કહેવાય છે. પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસોમાં બીનઅધિકૃત રીતે રહેતાં લોકો સામે છાશવારે પગલાં લેવામાં આવે છે. જેમાં નિમય પ્રમાણે નોટિસથી લઈને દંડ કરવા સુધીની કામગીરી કરાય છે. છેલ્લે મકાનનો કબ્જો મેળવવા ઇવિક્શન કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. મકાન ખાલી ન કરવાના 2019 પહેલાંના કિસ્સામાં આવા 80 જેટલા ઈવિક્શન કેસ કોર્ટમાં ચાલી રહ્યાં છે. ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો બનાવેલા છે. જેમાં અનેક મકાનો નિવૃતી, અવસાન અને બદલીના કિસ્સામાં લોકોએ ખાલી કરતાં નથી હાલની સ્થિતિએ આવા 300થી વધુ મકાનો હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત અનેક કર્મચારીઓ વર્ષો જૂના જર્જરીત જેવા મકાનોમાં રહેવા મજબૂર છે. જેને પગલે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા મકાનો ખાલી ન કરતાં કર્મચારી-પેન્શનર્સ સામે કડક કાર્યવાહી કરવા ચીમકી અપાઈ છે. સરકારી કર્મચારીના પરિવારને તકલીફ ન પડે તે માટે નિવૃતિ સહિતના કિસ્સામાં સરકાર દ્વારા 6 મહિના અપાય છે. જેમાં જે-તે વ્યક્તિએ બીજે મકાન શોધી લેવાનું હોય છે પરંતુ અનેક કિસ્સામાં લોકો જલ્દી મકાન ખાલી ન કરતાં વેઈટિંગમાં રહેલાં કર્મચારીઓને મકાન મળતાં નથી. એક તરફ નિવૃત-બદલી સહિતના કિસ્સામાં અનેક કર્મચારીઓને સરકારી આવાસનો મોહ છૂટતો નથી. તો બીજી તરફ આવાસ મેળવવા અંદાજે 3 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું કહેવાય છે.