Site icon Revoi.in

એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં સરદાર પટેલનું ખુબ મોટુ યોગદાનઃ અરુણાચલ પ્રદેશ CM ખાંડુ

Social Share

અમદાવાદઃ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમજ તેઓની કેબીનેટના વરિષ્ઠ મંત્રીઓએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીકરૂપ છે તેમ જણાવી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવુ એ એક અનોખો અનુભવ છે. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ભારતમાં કર્યુ છે સરદાર સાહેબનું આઝાદી પછી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે ખુબ મોટુ યોગદાન રહ્યુ છે, અરુણાચલ પ્રદેશની જનતા વતી સરદાર સાહેબને હું વંદન કરૂ છુ તેમ વધુમાં ઉમેર્યું હતું.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી નર્મદા નદી, સરદાર સરોવર નર્મદા ડેમનાઅદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ ઝુબીન ગમીર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરાટત્વની ઝીણવટભરી અને વિસ્તૃતમાં જાણકારી પુરી પાડી હતી.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં પોતાની મુલાકાતના અનુભવો અને પ્રતિભાવ નોંઘ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર ઉમેશ શુક્લાએ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી. આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો પણ નિહાળ્યો હતો.