Site icon Revoi.in

લખનૌ કોર્ટ પાસે ગોળીબારની ઘટના, કુખ્યાત ગેંગસ્ટરની હત્યા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોર્ટની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ગોળીબારની આ ઘટનામાં ગેંગસ્ટર સંજીવ જીવાનું મોત થયાનું જાણવા મળે છે. સંજીવ જીવા કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીના નજીકનો હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ શાર્પશૂટર વકીલનો ડ્રેસ પહેરીને આવ્યાં હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થળ ઉપર દોડી ગયેલા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌ સિવિલ કોર્ટની બહાર વકીલના ડ્રેસમાં આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો કુખ્યાત ગેંગસ્ટર સંજીવ જીવા મહેશ્વરીનું ગોળી વાગવાથી મોત થયાનું જાણવા મળે છે. સંજીવ કુખ્યાત ગેંગસ્ટર મુખ્યાર અંસારીનો શાર્પશૂટર હોવાનું જાણવા મળે છે. ભાજપના નેતા બ્રહ્મદત્તા દ્રિવેદીની હત્યા કેસમાં તેની સંડોવણી ખુલી હતી. આ ઉપરાંત અન્ય કેટલાક કેસમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળે છે. કુષ્ણાનંદ રાય હત્યાકાંડમાં પણ સંજીવનું નામ ખુલ્યું હતું. હુમલાખોરો ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા.

લખનૌ કોર્ટની પાસે જ ગોળીબારની ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાના ચક્રોગતિમાન કર્યાં હતા.