Site icon Revoi.in

હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી છેતરપીંડી રોકવા “સીટ”ની રચના કરાશે: હર્ષ સંઘવી

Social Share

સુરતઃ શહેર હીરા ઉદ્યોગનું માનચેસ્ટર ગણાય છે. હીરા ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે, અને લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરાના વેપારીઓ અવાર-નવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી  હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતરહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી છેતરપીંડી રોકવા અને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા માટે SITની રચના કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તેમજ ટેક્સટાઈલ અને રેલવેના કેબિનેટ મંત્રી  દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ટેક્સટાઈલ વેપારના સભ્યો માટે એક SIT બનાવવામાં આવી, જેમાં ઠગાઈનો ભોગ બનેલા 350 વેપારીમાંથી 57 ના રૂપિયા SIT દ્વારા પરત અપાયા હતાં. હવે ડાયમંડ ઉદ્યોગ સાથે થતી ચિટિંગ અટકાવવા માટે પણ એક SITની  રચના કરાશે. 15-15 પોલીસની ટીમ બનાવાશે. પોલીસ કમિશનર અને ડાયમંડ એસોસિએશનની બેઠક બાદ પ્લાન તૈયાર કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે બનીને તૈયાર થઇ જશે. સુરતના ડાયમંડ બુર્સની ઓળખ માત્ર હીરા ઉદ્યોગ માટે જ નથી દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હશે. ડાયમંડ બુર્સની પહેલી ઓફિસ શરૂ થાય તે પહેલા હાઈટેક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે  કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સુરતમાં અંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ છે અને હવે વહેલી તકે ઈન્ટરનેશનલ ફ્લાઈટોમાં વધારો કરવામાં આવશે. સુરતમાં પણ જ્યારે ડાયમંડ બુર્સ બનાવાની વાત આવી ત્યારે તેને અટકાવવા પ્રયાસો કરાયા હતા. સુરતના વેપારીઓ અટક્યા વિના બુર્સનું નિર્માણ કર્યું. આ કાર્યક્રમમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.