Site icon Revoi.in

રાજ્ય કર્મચારી મહામંડળે વણઉકલ્યા પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર પૂર્વ મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી 13 પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળ દ્વારા વધુ એકવાર નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ રાખી સત્વરે નિરાકરણ લાવવાની માંગણી કરી છે.

ગુજરાત રાજય કર્મચારી મહા મંડળ દ્વારા વધુ એક વાર કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કર્મચારી મહા મંડળના પ્રમુખ ડી જે વાઘેલાએ મુખ્ય મંત્રીને પાઠવેલા પત્રમાં એવી રજુઆત કરી છે કે, સરકાર દ્વારા કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી તેઓના 13 પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે કોઈ હકારાત્મક પ્રયત્નો કરાયા નથી. આજ દિન સુધી 7 માં પગાર પંચનાં બાકી લાભો સહિતનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. જે અન્વયે ગુજરાત રાજયના કર્મચારી મહા મંડળના વિવિઘ કર્મચારી સંઘના હોદેદારોની સામાન્ય સભામાં પડતર પ્રશ્નોની ચર્ચા વિચારણાના અંતે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાર્યક્રમો કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી લાભો જેવા કે HRA, શિક્ષણ ભથ્થું, વાહન ભથ્થું વિગેરે ભથ્થાઓ રૂ. 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડી કલેઇમ યોજના, વય નિવૃતિ મર્યાદા 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવા, ફિક્સ પગારના કર્મચારીઓને કુલ પગાર સહિતના લાભો નિમણૂક તારીખથી આપવા, આઉટ સોર્સ થી ભરતી બંધ કરી કર્મચારીના મૃત્યુ બાદ રહેમરાહે નોકરી આપવી તેમજ કોવિડ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અધિકારી અને કર્મચારીઓને રૂ. 25 લાખની સહાય સત્વરે આપી બિનસરકારી અનુદાનિત કોલેજોના કર્મચારીઓને વાહન ભથ્થુ તેમજ રાજ્ય કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવા થયેલા પરિપત્રની અમલવારી કરવા ઉપરાંત સ્થગિત કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાના તમામ હપ્તા રિલીઝ કરવા સહિતની વિવિધ માંગણી કરવામાં આવી છે.