Site icon Revoi.in

જ્ઞાનવાપી મસ્જિદમાં પ્રથમ દિવસનું વિડીયોગ્રાફી સર્વેક્ષણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ

Social Share

લખનૌઃ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર વિડીયોગ્રાફી સર્વેક્ષણ કાર્ય શનિવારે પ્રથમ દિવસે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ દરમિયાન બેઝમેન્ટના પાંચ રૂમનો સર્વે કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ વીડિયોગ્રાફી ચાલુ રહેશે. સર્વે બાદ ઉપરોક્ત જગ્યા ફરીથી સીલ કરવામાં આવી છે. વાદી-પ્રતિવાદી પક્ષે સર્વેની કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સૌ પ્રથમ સર્વે ટીમ સવારે 8:16 વાગ્યે મસ્જિદ પરિસરમાં પહોંચી હતી. જ્ઞાનવાપી સર્વેક્ષણમાં કુલ 52 લોકો અંદર ગયા હતા, જેમાં કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા, તેમની સાથેના બે સહયોગી કોર્ટ કમિશનર, વાદી પક્ષના લોકો, ડીજીસી સિવિલ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, વિડીયોગ્રાફરો, ફોટોગ્રાફરો વગેરેનો સમાવેશ થાય છે. સર્વે માટે પરિસરની અંદર ગયેલી ટીમના મોબાઈલ બહાર જમા કરવામાં આવ્યા હતા. ઇન્તઝામિયા કમિટીએ પહેલા ભોંયરાની ચાવી આપી દીધી હતી. ભોંયરું એટલું ગંદુ હતું કે તેમાં પ્રવેશી શકાય તેમ ન હતું, તેથી પહેલા તેને સાફ કરવામાં આવ્યું હતું. ભોંયરામાં પ્રવેશતા પહેલા વાઝુ કરવામાં આવ્યું હતું, ટીમે ટોર્ચ અને હેલોજન લાઈટથી સર્વે કરવામાં આવ્યો હતો.

ભોંયરામાં કુલ 5 રૂમ મળી આવ્યા હતા જેમાંથી એક રૂમમાં દરવાજો નહોતો. સર્વે બાદ ઉપરોક્ત જગ્યાઓ ફરીથી સીલ કરવામાં આવી હતી. વાદી-પ્રતિવાદી પક્ષે સર્વેની કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સમગ્ર સંકુલની વિડીયોગ્રાફી માટે ખાસ કેમેરા અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્ઞાનવાપી કેમ્પસમાંથી બહાર આવ્યા બાદ કોર્ટ કમિશનર અને અન્ય એડવોકેટ મીડિયા સામે કંઈ બોલ્યા ન હતા. આ દરમિયાન જ્ઞાનવાપી કેમ્પસની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. એક કિલોમીટરના દાયરામાં 1500થી વધુ પોલીસ-પીએસી જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. જ્ઞાનવાપી મસ્જિદના 500 મીટરની અંદરની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં આવનાર દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

ડીજીપી અને મુખ્ય સચિવ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા હતા. કોર્ટ દ્વારા નિર્ધારિત સમય અનુસાર આ સર્વે બપોરે 12 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ સર્વેનો રિપોર્ટ 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સર્વેની કામગીરી આવતીકાલે એટલે કે રવિવારે સવારે 8 વાગ્યે ફરી શરૂ થશે. દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે, તમામ પુરાવા અમારી તરફેણમાં છે. ભોંયરાઓમાંથી મૂર્તિઓના અવશેષો મળી આવ્યા છે. હિંદુ પક્ષે કહ્યું કે ભોંયરામાં તોફાની તત્વો દ્વારા માટી ભરવામાં આવી હતી, તેને સાફ કરવામાં આવી હતી.