Site icon Revoi.in

શ્રીનગરના લાલ બજારમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો,ASI શહીદ,ત્રણ જવાન ઘાયલ 

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ બજારમાં મંગળવારે સાંજે આતંકી હુમલો થયો હતો.આ હુમલામાં એક ASI શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલો પોલીસ ટીમ પર થયો છે.શહીદ થયેલા ASIનું નામ મુશ્તાક અહેમદ છે. આ ઘટના બાદ ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પહેલા સોમવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી એક જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકવાદી કૈસર કોકા હતો.આ માહિતી પોલીસે આપી હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ અવંતીપોરા વિસ્તારમાં વંડકપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.

પોલીસ પ્રવક્તાએ ટ્વિટ કર્યું, ‘આતંકવાદી કૈસર કોકા માર્યો ગયો છે.બીજા આતંકીની ઓળખ મેળવવામાં આવી રહી છે.યુએસ નિર્મિત રાઈફલ (M-4 કાર્બાઈન), એક પિસ્તોલ અને અન્ય સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.’ અધિકારીએ જણાવ્યું કે,કોકા આતંકવાદ સંબંધિત અનેક ઘટનાઓમાં વોન્ટેડ હતો.