Site icon Revoi.in

પુલવામામાં કાશ્મીરી પંડિતની હત્યા કરનારો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Social Share

નવી દિલ્હીઃ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરનાર આતંકવાદીને સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ સાથે લાંબી અથડામણ બાદ સુરક્ષા દળોએ આકિબ મુસ્તાક નામના આતંકવાદીને ઠાર માર્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો આતંકી TRF નામના આતંકી સંગઠન હેઠળ કામ કરતો હતો.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે થયેલી અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકીઓના ગોળીબારમાં બે જવાન પણ ઘાયલ થયા છે.

સોમવાર અને મંગળવારની રાત્રે કાશ્મીર પોલીસે અવંતીપોરામાં પોલીસ અને સેનાના સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની માહિતી આપી હતી. બાદમાં કાશ્મીર પોલીસે પણ ટ્વીટ કરીને એક આતંકીને માર્યાની જાણકારી આપી હતી. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન હજુ પણ ચાલુ છે અને માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ મેળવવાનો બાકી છે. સેનાના એક અધિકારીએ દાવો કર્યો હતો કે ટેક્નિકલ બાતમીના આધારે આતંકવાદીઓના છુપાયેલા સ્થાનની ઓળખ કરવામાં આવી હતી.

કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં સુરક્ષા જવાનોને અનેક આતંકવાદીને ઠાર માર્યા છે. તેમજ અનેક આતંકીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જો કે, હવે કટ્ટરપંથીઓએ કાશ્મીરી પંડિતો અને નોન કાશ્મીરીઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે અને ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. આવા બનાવો અટકાવવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

(PHOTO-FILE)