નવી દિલ્હી, 2 જૂન 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારતમાં આપ્રવાસ (ઇમિગ્રેશન) અને વિદેશી નાગરિકો સંબંધિત નિયમોમાં મહત્વના સુધારાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, ભારતમાં 180 દિવસ સુધીના વિઝા પર આવતા વિદેશી નાગરિકો જો દેશમાં પોતાનું રોકાણ લંબાવવા માંગતા હોય, તો તેમણે પોતાના વિઝાની મુદત પૂરી થતા પહેલા જ રજીસ્ટ્રેશન (નોંધણી) કરાવવું ફરજિયાત રહેશે. 1 જૂનના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા જાહેર કરાયેલા આ સુધારેલા નિયમો તત્કાલ પ્રભાવથી અમલમાં આવી ગયા છે. ‘આપ્રવાસ અને વિદેશી વિષયક નિયમો-૨૦૨૬’ હેઠળ વિદેશીઓની નોંધણી પ્રક્રિયા, ભારતીય માતા-પિતા ધરાવતા બાળકો સાથે જોડાયેલી જોગવાઈઓ, ઇમરજન્સી રજીસ્ટ્રેશન અને અપીલ તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
નવા સુધારા અનુસાર, હવે ભારતમાં આગમનના 180 દિવસ પુરા થાય તે પહેલા ગમે ત્યારે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. અગાઉના નિયમ મુજબ, 180 દિવસની મુદત પૂરી થયા પછીના 14 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. જો કે, હવે નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા પછી વિલંબિત નોંધણી માત્ર અસાધારણ અને કટોકટીની (ઇમરજન્સી) પરિસ્થિતિઓમાં જ સ્વીકારવામાં આવશે. ગૃહ મંત્રાલયે એવા બાળકોના સંબંધમાં મોટી રાહત આપી છે જેઓ ભારતીય અને વિદેશી એમ બંને દેશોની નાગરિકતાનો દાવો કરી શકે છે. સુધારેલા નિયમો મુજબ, જે કિસ્સામાં માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય અને તેઓ ‘નાગરિકતા અધિનિયમ-1955’ની કલમ ૩ હેઠળ બાળકની ભારતીય નાગરિકતા જાળવી રાખવા માંગતા હોય, ત્યાં રજીસ્ટ્રેશનની કોઈ જરૂર રહેશે નહીં.
-
ભારતીય મૂળના બાળકોની નાગરિકતા અને ઓનલાઇન અપીલ પ્રક્રિયામાં કરાયા મહત્વના ફેરફાર
જો બાળક ભારતમાં રહેતા દરમિયાન આગામી સમયમાં કોઈ વિદેશી દેશની નાગરિકતા મેળવે છે, તો માતા-પિતામાંથી કોઈ એકે વિદેશી નાગરિકતા મળ્યાના 30 દિવસની અંદર રજીસ્ટ્રેશન ઓફિસરને આ અંગે લેખિત જાણ કરવી પડશે. અપીલ માટે ઓનલાઇન પોર્ટલ અને સમયમર્યાદા નક્કી કરાઈ છે. અન્ય એક તકનીકી સુધારામાં, સરકારે નિયમ 18 હેઠળ રિપોર્ટિંગની સમયમર્યાદા સંબંધિત જોગવાઈમાં સુધારો કરીને ‘પરંતુ ૨૪ કલાકથી વધુ’ વાક્યના સ્થાને ‘પરંતુ 24 કલાકથી વધુ નહીં’ શબ્દો કર્યા છે. આ ઉપરાંત, સિવિલ ઓથોરિટીના આદેશોથી અસંતુષ્ટ વાલીઓ કે સંरક્ષકો માટે અપીલ પ્રક્રિયાને પણ સંપૂર્ણપણે નવો ઓપ આપવામાં આવ્યો છે. હવે આવી કોઈપણ અપીલ, બ્યુરો ઓફ ઇમિગ્રેશનના કમિશનર સમક્ષ 30 દિવસની અંદર નિર્ધારિત ઓનલાઇન પોર્ટલના માધ્યમથી જ દાખલ કરવાની રહેશે. કમિશનર બંને પક્ષોને સાંભળવાની યોગ્ય તક આપ્યા બાદ આદેશ પસાર કરશે અને અપીલ મળ્યાની તારીખથી સામાન્ય રીતે 60 દિવસની અંદર સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

