Site icon Revoi.in

ભાવનગર યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, આર્ટસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંચાલિત અને સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ચાલી રહેલી કાર્યવાહીના ત્રીજા રાઉન્ડના અંતે કોલેજોમાં કુલ 29,340 બેઠકો પૈકી 14,558 બેઠકો ભરાઈ ગઈ છે જ્યારે વધુ 14,782 બેઠકો ખાલી રહી ગઇ છે. એટલે કે 49.62 ટકા બેઠકો ભરાઇ છે અને 50.38 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. ખાસ તો કોમર્સ ફેકલ્ટીમાં બી.કોમ. એટલે કે સ્નાતક કક્ષાએ કુલ 9510 બેઠકો છે અને તે પૈકી 3021 જ બેઠકો ભરાઇ છે એટલે કે કોમર્સની કોલેજોમાં 68 ટકા બેઠકો ખાલી છે જ્યારે આર્ટસની કોલેજોમાં 32 ટકા બેઠકો ખાલી છે. આ વખતે કોમર્સ કરતા આર્ટસમાં વિદ્યાર્થીઓએ વધુ પ્રવેશ મેળવ્યો છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રવેશના ત્રણ તબક્કા પૂર્ણ થઇ ગયા છે. આ વખતે કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ માટે ઓછો રસ જોવા મળ્યો છે. જ્યારે આર્ટસમાં મોટા ભાગે બેઠકો ભરાઇ ગઇ છે. બીસીએમાં સૌથી વધારે રસ જોવા મળ્યો છે. તેમજ  બીબીએમાં 50 ટકા જેટલી બેઠકો ભરાઇ ગઇ છે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરમાં પણ સારો રસ જોવા મળ્યો છે. સીબીએસસીનું પરિણામ આવ્યા બાદ તૃતિય રાઉન્ડ પૂર્ણ થયો છે હવે પૂરક પરીક્ષાના પરિણામ બાદ પ્રવેશનો વધુ રાઉન્ડનો 10મી  ઓગસ્ટ સુધી યોજાયો છે. જેમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, મેનેજમેન્ટ અને ગ્રામ વિદ્યા શાખા અંતર્ગત આવેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તેમજ ડિપ્લોમા સેન્ટર ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હોય  પ્રવેશ શરૂ કરાયો છે, જે 10મી ઓગસ્ટ સુધી ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ www.mkbhavuni.edu.in પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને જે તે કોલેજ કે ડિપ્લોમા સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હશે તેઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં.