નવી દિલ્હી, 05 ઓગસ્ટ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જરાય સૌહાર્દપૂર્ણ નથી. બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો પણ બંધ થઈ ગયા છે, તેમ છતાં પાકિસ્તાન તેની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. ફરી એકવાર, ભારતના ‘ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ’ (DRI) એ પાકિસ્તાનની ગેરકાયદેસર હિલચાલનો પર્દાફાશ કર્યો છે; પાકિસ્તાન દુબઈ થઈને ભારત સાથે વેપાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ગુપ્તચર ટીમોએ આ યોજનાને પકડી પાડી અને કાવતરાનો ભાંડાફોડ કર્યો.
કાંડલા બંદરે પાકિસ્તાની ખજૂર જપ્ત કરવામાં આવી
PIB પાસેથી મળેલી માહિતી અનુસાર, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન કંડલા બંદર પર આશરે 3 કરોડની કિંમતની 364 મેટ્રિક ટન આયાતી સૂકી ખજૂર ભરેલા 13 કન્ટેનર જપ્ત કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ માલસામાન UAE થી આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, વાસ્તવમાં તે પાકિસ્તાનથી આવ્યો હતો.
પાકિસ્તાનથી માલસામાન ભારત કેવી રીતે પહોંચ્યો?
તપાસમાં બહાર આવ્યું છે કે આ માલ પહેલા પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભારત ખાતે નિકાસ કરતા પહેલા તેને અન્ય કન્ટેનરમાં તબદીલ કરવામાં આવ્યો હતો. આયાતકારો પર આરોપ છે કે પાકિસ્તાનથી માલની આયાત પરના પ્રતિબંધને ટાળવા માટે તેમણે મહત્વપૂર્ણ હકીકતો છુપાવી હતી અને માલના મૂળ દેશ અંગે ખોટી માહિતી આપી હતી. પરિણામે, ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ની સંબંધિત કલમો હેઠળ સમગ્ર માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે પણ પાકિસ્તાની માલ આવ્યો હતો
ગયા અઠવાડિયે, DRIના અધિકારીઓએ તુતીકોરીન બંદર પર પાકિસ્તાન મૂળના આશરે 14 મેટ્રિક ટન ગુગ્ગળ રેઝિન (જેની કિંમત લગભગ 1.4 કરોડ છે)ની આયાત કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ માલસામાનને સોમાલિયાથી આવતા કુદરતી રેઝિન તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો હતો અને તેને દુબઈ થઈને મોકલવામાં આવ્યો હતો.
વધુ વાંચો: ટપાલ વિભાગે રક્ષાબંધન માટે રાખડીઓ પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા શરૂ કરી

