Site icon Revoi.in

STના કર્મચારીઓને વોરિયર્સ જાહેર ન કરાતા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને સહાય મળતી નથી

Social Share

અમદાવાદઃ કોરોનાને લીધે ગુજરાત એસટી નિગમને ભારે નુકશાન સહન કરવું પડ્યુ છે. કોરોનાના સંક્રમણ કાળમાં પણ એસટીના ઘણા રૂટ્સ ચાલુ રાખવામાં આવ્યા હતા. તેના લીધે એસટીના અનેક કર્મચારીઓ પણ કોરોનામાં સપડાયા હતા સૌરાષ્ટ્રમાં કોરોનાને લીધે 18 જેટલા એસટીના કર્મચારીઓના મૃત્યુ થયા હતા. પણ સરકારે એસટીના કર્મચારીઓને વોરિયર્સ જાહેર ન કરાતા સરકાર તરફથી સહાય મળતી નથી આથી એસટીના કર્મચારીઓમાં નારાજગી ઊભી થઈ છે.

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ ન ગણી સહાય ન કરતા રાજકોટની લાઈન ચેકિંગ શાખાના બે અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડિવીઝનમાં મૃત્યુ પામેલા 18 કર્મચારીઓના પરિવારને સહાય માટે ફાળો ઉઘરાવવાનું શરુ કર્યું છે. સરકારના વિરોધમાં એક કર્મચારીએ મુંડન કરાવી વિરોધ કરીને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એસટીના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને સહાય આપવા માટે ઓનલાઈન ફાળામાં રૂ.1 લાખ એકઠા થઇ ગયા હતા. પરંતુ તે અપૂરતી રકમ ન જણાતા હવે બસસ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે.

રાજકોટ એસટી ડિવીઝનના લાઈન ચેકિંગ સ્ટાફના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર મુકેશસિંહ જાડેજા અને આર.પી.સોલંકીએ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, જામનગર અને અમરેલી વિભાગમાં કોરોનાથી મૃત્યુ પામતા કર્મચારીના પરિવારને ઓછામાં ઓછી રૂ.10 હજારની સહાય કરી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. લાઈન ચેકિંગના અધિકારી મુકેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 100થી વધુ એસટી કર્મીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી હતી. એસટી કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો તેને હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણ કર્મીઓ માટે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપી છે. માટે ગત 7મેથી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરૂ કરતા એક અઠવાડિયામાં રૂ.1 લાખ એકઠા થયા છે. જોકે હવે ડિવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. જેમાં એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે રૂ.1100 સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યાં છે. ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાય આપવામાં આવે.