Site icon Revoi.in

કોરોના સંકટઃ વિવિધ બીમારીથી પીડિતા 12 વર્ષથી વધુની વયના બાળકોને અપાશે પહેલા રસી

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ બાળકો માટેની રસી માટે પણ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંભવિત બાળકોને અસર થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકારની કોવિડ વર્કિંગ ગ્રુપે સૌ પ્રથમ વિવિધ બીમારીથી પીડિતા 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોને પ્રથમ રસી આપવાનો નિર્ણય કર્યો છે.

કોવિડ વર્કીંગ ગ્રુપએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષ તંદુરસ્ત બાળકોને રસી આપવામાં આવશે. બાળકોની રસી ઉપલબ્ધ થયા બાદ સૌપ્રથમ અન્ય બીમારીઓથી પીડાતા બાળકોને એટલે કે બાર વર્ષથી વધુની વયના બાળકોને રસી આપવી જોઈએ. જે બાળકો તંદુરસ્ત છે તેમને અત્યારે રસી આપવાનો કોઈ અર્થ નથી. આ વર્ષે આવા બાળકોને રસી આપવામાંથી મુક્ત રાખવા જોઈએ અને મોટાભાગની રસીનો ઉપયોગ બીમાર બાળકો માટે જ કરવો જોઈએ.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં દેશમાં બાળકોને રસી આપવા અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તેમજ બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા 40 કરોડ બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધારે લોકોને કોરાનાની રસી આપીને તેમને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાને ફ્રીમાં કોવિડની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ રસીનું ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે.