Site icon Revoi.in

ગુજરાતના અમદાવાદમાં અર્બન-20(U-20)ની બેઠક 9મી ફેબ્રુઆરીથી યોજાશે

Social Share

અમદાવાદઃ ભારત હાલ જી-20નું અધ્યક્ષ છે અને જે અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ મિટીંગનું આયોજન કરવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાતની રાજધાની ગણાતા ગાંધીનગરમાં બી-20 સમિટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. હવે આગામી મહિને અમદાવાદમાં અર્બન-20 એટલે કે યુ-20ની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. U-20 એ જી-20 દેશોના શહેરોનું જૂથ છે. 9 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ બેઠકમાં વિવિધ દેશોના પ્રતિનિધિમંડળ સામેલ થશે.

અમદાવાદમાં યોજાનાર બેઠક U-20 સાઇકલની છઠ્ઠી બેઠક છે. એટલે કે આ અગાઉ 5 વર્ષમાં અલગ અલગ દેશોમાં આ બેઠક મળી હતી. છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં U-20 બેઠક મળી હતી. અમદાવાદમાં યોજાનાર બેઠક માત્ર U-20 જ નહીં પણ UNSC (યુનાઇટેડ નેશન્સ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ)ના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું ડગ પુરવાર થશે. અમદાવાદમાં યોજાનાર U-20 બેઠકનો મૂળ હેતુ ઈરાદાઓને નક્કર કાર્યવાહીમાં તબદીલ કરવાનો છે.

U-20 શહેરોના લીડર્સ તથા શેરપા આવતા મહિને અમદાવાદમાં આ કાર્યવાહીની રુપરેખા નક્કી કરશે. આ બેઠકમાં છ મહત્વના મુદ્દા જેવા કે પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહન, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાયનાન્સને વેગ, સ્થાનિક ઓળખને પ્રાધાન્ય, શહેરી સંચાલન અને આયોજન તથા શહેરી જીવનની સુવિધાઓનું ડિજીટલાઇઝેશન ઉપર ફોક્સ કરવામાં આવશે. ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે એ G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપે ઇ-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. એક અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની બે તૃતિયાંશ વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. જ્યારે કુલ ઊર્જાનો 75 ટકા હિસ્સો વિશ્વના શહેરોમાં વપરાય છે અને આટલા જ પ્રમાણમાં ઉત્સર્જન પણ થાય છે. તેથી ક્લાઇમેટ ચેન્જની સૌથી પહેલી અસર પણ શહેરો જ જોવા મળે છે.