Site icon Revoi.in

કોરોના કાળમાં નિષ્ક્રિય બનેલા ભાજપના કાર્યકર્તાઓને સક્રિય કરવા પક્ષના પ્રદેશ પ્રમુખનું ઈંજન

Social Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી પાટિલ પેઈજ પ્રમુખોના સહારે જીત મેળવવાની આશા રાખી રહ્યા છે. ઉપરાંત કોરોના કાળમાં નિષ્ક્રિય બની ગયેલા પક્ષના કાર્યકર્તાઓને સક્રિય કરવાનું આહવાન કરી રહ્યા છે, શહેરના નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે  આગેવાનોને ટકોર કરી હતી.

પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, ફકત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. વડાપ્રધાન મોદીએ લોકો માટે 12 રૂપિયામાં 2 લાખની વીમા યોજના શરૂ કરી છે. દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે 10 લોકોના વીમા ઉતારે અને ભાજપે જાહેર કરેલા વોટ્સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગતો પહોંચાડે જે લોકોનું જીવન બદલશે.

તેમણે ધારાસભ્ય જગદીશ પંચાલને કાર્યક્રમના આયોજન બદલ પીઠ થાબડી હતી. તેમજ  બધા કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને આગામી આયોજનો માટે સૂચના આપી અને ઝડપથી કોર્પોરેટરો સાથેની બેઠક બોલાવવા કહ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને આગામી દિવસોમાં ફરી વાર લોકો વચ્ચે જવા શીખામણ પણ આપી હતી.

પાટિલે ઉમેર્યું હતું કે, જનસંઘના ઈતિહાસ સાથેની વિગતોવાળું ટેબલેટ પક્ષના 10 હજાર આગેવાનોને અપાશે. જેનાથી ટેકનોલોજીનો વ્યાપ જમીન સુધી પહોંચે. આખા દેશમાં ક્યાંય ન હોય તેવું ટેકનોસેવી સંગઠન ગુજરાત ભાજપનું હશે.  કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી જ લોકોનો વિશ્વાસ સંપાદિત થશે અને લોકો ભાજપ સાથે રહેશે તેવો વિશ્વાસ ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ શહેર ભાજપ સંગઠને વધુ મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે.