નવી દિલ્હી, 18 જુલાઈ 2026: યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગે, મેરા યુવા ભારત (MY Bharat) ના માધ્યમથી ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનૌ ખાતે વિકસિત યુવા ફોર વિકસિત ભારત” થીમ હેઠળ ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો. પોતાની પ્રકારની ચોથી અને બે દિવસીય આ ચિંતન શિબિર સેન્ટ્રલ રીજનના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, માય ભારત (MY Bharat), માય ભારત નેશનલ સર્વિસ સ્કીમ (NSS), જિલ્લા યુવા અધિકારીઓ, પ્રાદેશિક નિર્દેશકો અને ફિલ્ડ ફંક્શનરીઝને એક સશક્ત, ભવિષ્ય માટે તૈયાર યુવા ઇકોસિસ્ટમના નિર્માણ માટેની વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એકસાથે લાવ્યા છે, જે દેશની વિકાસ યાત્રાને વેગ આપશે. સંરચિત ચર્ચાઓ, શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન અને સહયોગી નીતિનિર્માણ દ્વારા, આ શિબિર પાયાના સ્તરે અમલીકરણને મજબૂત કરવા અને યુવા વિકાસ માટે એક કાર્યક્ષમ રોડમેપ વિકસાવવા માંગે છે.
ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેમની સાથે યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી સુશ્રી રક્ષા નિખિલ ખડસે; ઉત્તર પ્રદેશ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી શ્રી ગિરીશ ચંદ્ર યાદવ; યુવા બાબતોના વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલ; યુવા બાબતોના વિભાગના સંયુક્ત સચિવ શ્રી શિવ રતન; અને માય ભારત તેમજ એનએસએસ (NSS) ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
ચિંતન એટલે વિચારોનો સંગ્રહ
મુખ્ય પ્રવચન આપતાં ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વિવિધ પ્રદેશોમાં ચિંતન શિબિરનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે કામ કરતા અધિકારીઓમાં સંવાદ, સહયોગ અને સહિયારા શિક્ષણની સંસ્કૃતિ ઊભી કરવાનો છે. તેમણે કહ્યું, “ચિંતન એટલે વિચારોનો સંગ્રહ. અમે સંવાદની સુવિધા માટે આ શિબિરનું આયોજન કર્યું છે કારણ કે સંવાદ વિના કોઈ સ્પષ્ટતા હોઈ શકે નહીં, અને સ્પષ્ટતા વિના કોઈ અસરકારક અમલીકરણ થઈ શકે નહીં.”
માય ભારત (MY Bharat) ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન તરીકે વર્ણવતા, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ સક્ષમ યુવા નેતાઓની એક એવી પેઢીના નિર્માણ માટે સ્થાપિત કરવામાં આવ્યું છે જે ભારતને વિકસિત ભારત @2047 તરફ દોરી જશે. સમાજના દરેક વર્ગમાંથી એક લાખ યુવા નેતાઓ વિકસાવવાના પ્રધાનમંત્રીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે માય ભારત યુવાનોને નેતૃત્વ, ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા માંગે છે. તેમણે જિલ્લા યુવા અધિકારીઓ અને એનએસએસ (NSS)ના કર્મચારીઓને પંચ પ્રાણ સાથે સુસંગત રહીને કર્તવ્ય ભાવ અને સેવા સાથે કામ કરવા વિનંતી કરી હતી, અને તેમને પોતાને યુવા સશક્તિકરણના સહાયક તરીકે જોવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “તમારા કાર્યને માત્ર રોજગાર તરીકે ન જુઓ. તમારી જવાબદારી આ દેશના યુવાનોને જાગૃત અને સશક્ત કરવાની છે. જ્યારે આપણે સત્તાવાળાઓ તરીકે નહીં પરંતુ સેવા પ્રદાતાઓ તરીકે કામ કરીએ છીએ, ત્યારે પરિણામો હંમેશા બહેતર આવે છે.”

