Site icon Revoi.in

માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપની આયાત પર કોઈ નિયંત્રણ નથી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણોની આયાત પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.અગાઉ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે યુઝર્સની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સૂત્રો અનુસાર ડિરેક્ટોરેટ જનરલે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેના પર કંપનીઓ અને વેપારીઓ લાઇસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે સરકાર વિશ્વસનીય અને વેરિફાઈડ સિસ્ટમનો ઉપયોગ કરવા ઉત્પાદનોની આયાતને નિયંત્રિત કરી રહી છે. તેમણે કહ્યું કે આ સુનિશ્ચિત કરશે કે ભારતની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માત્ર વિશ્વાસપાત્ર અને વેરિફાઇડ સિસ્ટમનો ઉપયોગ કરે છે, પછી ભલે તે ઉત્પાદન સ્વદેશી રીતે ઉત્પાદિત હોય કે આયાત કરવામાં આવે. સરકાર દ્વારા લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ લગાવવા અંગેના ટ્વિટ સંદેશાઓ પર  ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય વિશ્વસનીય હાર્ડવેર અને સિસ્ટમનો ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.

તેમણે કહ્યું કે ભારત લેપટોપ અને સર્વર સહિત ડિજિટલ ઉત્પાદનો માટે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક બની રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને દેશમાં આવા ઉત્પાદનોના ઉત્પાદનમાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર્સ સહિતની ડિમાન્ડમાં વધારો થયો છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ભારતમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્પાદન વધે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યાં છે.