Site icon Revoi.in

તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે હજારો આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટ્યાં

Social Share

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા ચાલી રહેલા બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા હતા. જેમાં 14 જિલ્લાના સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. જેનાં પગલે ગાંધીનગર પોલીસનો કાફલો ઠેર ઠેર ગોઠવી દઈ ચુસ્ત પહેરો કરી દેવામાં આવ્યો હતો.

ગાંધીનગર સત્યાગૃહ છાવણીમાં આદિવાસી સંમેલનમાં છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની જમીન રાજ્ય સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી. ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદિવાસી સંમેલનનું આયોજન કર્યું છે. આદિવાસીઓને જંગલ વિસ્તારથી દૂર કરવાનું સરકાર ઘડી રહી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરીને ભાજપા સરકાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે શ્વેત પત્ર બહાર પાડવાની પણ માંગણી કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે આજના સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને વિવિધ જિલ્લાના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં આદિવાસી બંધુઓ ઉપસ્થિત રહેવા અનેક વાહનો લઈને ઉમટી પડ્યા હતા. આદિવાસી સમાજનું કહેવું છે કે, આદિવાસીઓની જંગલ વિસ્તારમાં દવાખાનાની બિસ્માર હાલત છે. પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. એવામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ સમાજની જમીન પચાવી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત આદિવાસી સમાજના અન્ય પ્રાણ પ્રશ્નો સામે સરકારે ઉપેક્ષાભાવ પ્રગટ કર્યો છે તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસી અને આદિવાસી ભાઇઓ અહીં ઉપસ્થિત રહેવા ઉપરાંત વિધાનસભા સત્ર હાલ ચાલુ હોવાને કારણે પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવો ન કરે તે માટે થોડા થોડા અંતરે બેરીકેટ્સ મુકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર આવતા વાહનોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. તો મહિલા પોલીસ પણ બંદોબસ્ત માટે આ વખતે વધુ બોલાવી દેવામાં આવી છે.

આ અંગે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, અમારો આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ માટે સદીઓથી લડાઇ લડતો આવ્યો છે. અત્યારે આદિવાસીની ખુબજ ખરાબ હાલત છે. અમને ન્યાય મળતો નથી. આદિવાસીઓનો તિરસ્કાર કરવામાં આવે છે. આદિવાસીઓને પાણી નથી મળતુ, વિજળી મોંઘી પડે છે. છોટાઉદેપુરમાં રાઠવા આદિવાસીઓમાં નથી આવતા સરકાર એવું કહી રહી છે. અમારા વિસ્તારમાંથી નદી પસાર થતી હોવા છતાં પાણી નથી મળતું. સરકાર ઉધોગપતીઓના દેવા માંફ કરે છે, પણ અમારા યુવાનોને નોકરી નથી આપતી. બિરસા મુંડાની જેમ લડાઇ લડવી પડશે તો પણ અમે લડીશું.