Site icon Revoi.in

આજે TB દિવસઃ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોતને ભેટે છે

Social Share

અમદાવાદઃ  આજે વર્લ્ડ ટીબી દિવસ છે, દરવર્ષે 24 માર્ચના રોજ  વર્લ્ડ ટીબી દિનની ઊજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ આજે સાધ્ય બન્યો છે. સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવી રહી  છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે ટીબીના 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે. જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે.  ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે.  અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

ગુજરાતમાં આજે ટીબી દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષે 1.70 લાખ ટીબીના દર્દીઓ નોંધાતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ટીબીના દર્દીઓને શોધવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. વર્ષ 2020 અને 2021માં સાદા ટીબી અને હઠીલા ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. સાદા ટીબીના દર્દીના મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં સાદા ટીબીના ફુલ 17439 દર્દી નોંધાયા હતા અને 965 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે હઠીલા ટીબીની વાત કરીએ તો કુલ 801 દર્દી અને 78 મોત નોંધાયાં હતા. સૌથી વધુ ટીબીના દર્દીઓ શહેરના પૂર્વ વિસ્તારમાં અસારવા, રખિયાલ, અમરાઈવાડી વિસ્તારોમાં નોંધાયા હતા, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયા, નવાવાડજ અને વેજલપુર-વાસણા વિસ્તારોમાં નોંધાયા હતા.

તબીબોના કહેવા મુજબ ગુજરાતમાં ટીબીના દર્દીઓ માત્ર મોટી વયની ઉંમરના લોકોમાં જ નહીં, પરંતુ બાળકોમાં પણ જોવા મળે છે. વર્ષ 2021માં દર્દીઓ નોંધાયા છે, જેમાં 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મૃત્યુ થયાં છે, જેથી બાળકોમાં પણ દર્દીઓનું પ્રમાણ પણ જોવા મળે છે. ટીબીના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે. રાયપુર વિસ્તારમાં 800 લોકોનો સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં 48 ટકા લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.  ટીબી થવા માટે મહત્ત્વનું કારણ કુપોષણ છે, આથી ટીબીથી બચવા પોષણક્ષમ આહાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન દ્વારા 2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની આ વાત કરવામાં આવી છે, ત્યારે આ ટાર્ગેટ હાંસલ કરવો અઘરો લાગી રહ્યો છે.

સામાન્ય રીતે ટીબીના દર્દીઓ સાથે રહેનારા તેમના પરિવારજનોને પણ ટીબીનો ચેપ લાગી શકે છે. જોકે જ્યાં સુધી તેમની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રહે અને પોષણક્ષમ આહાર યોગ્ય રહે ત્યાં સુધી ટીબી તેમના પર હાવી થતો નથી. ટીબીના દર્દીના પરિવારના 1 હજાર લોકોને મ્યુનિ. પ્રિકોશન સારવાર આપી રહી છે.