Site icon Revoi.in

ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં 30 દેશના પ્રવાસીઓ ઉમટ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતના ગિરીમથક સાપુતારામાં હાલ મેઘ મલ્હાર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. આ પર્વમાં 30 દેશના 64 પર્યટકોએ ભાગ લીધો છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા.

TCGL ના મોન્સૂન ફેસ્ટિવલના આયોજનને બિરદાવતા બાંગ્લાદેશની યુવા પર્યટક વિશાખા શર્માએ, સાપુતારાની સુંદરતાના બે મોઢે વખાણ કર્યા હતા. તો અફઘાનિસ્તાનથી સાપુતારા આવેલી યુવતિ મનાર મેહમુદ મોહમ્મદ અહેમદઅલીએ પણ ટુરિઝમના વિકાસ માટે સ્ટેટ ગવર્મેંન્ટના પ્રયાસોને “માસા અલ્લાહ” કહીને સરાહના કરી હતી.

 

અત્રે ઉલેખનીય છે કે, સાપુતારાના મેઘ મલ્હાર પર્વ-2023ને માણવા માટે 30 જેટલા દેશના 64 જેટલા યુવા પર્યટકો અત્રે પધાર્યા હતા. TCGLના મહેમાન બનેલા આ પ્રવાસી પંખીઓ, શ્રીલંકા, બુરૂન્ડી, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન, સિરીયા, નાઈજીરિયા, નેપાલ, અંગોલા, મડાગાસ્કર, સોમાલિયા, મ્યાનમાર, મોરેશિયસ, ધ ગામબીયા, મલાવી, યમન, ઈજિપ્ત, કમ્બોડિયા, યુગાન્ડા, બોટસવાના, કેન્યા, તુર્કમેનિસ્તાન, ફિજી, રશિયા, ફ્રાંન્સ, ડીજીબૌતી, ઇથોપિયા, ઘાના, મોઝામ્બિક, સહિત કોટેડીલ્વોરે જેવા દેશોમાથી ઊડીને આવી, સહિયાદ્રિની ગોદમાં વિહાર કરી ગયા છે. ગુજરાત પ્રવાસન નિગમ લી- સાપુતારાના મેનેજર ભીમભાઇ પરમારે સાપુતારાના મહેમાન બનેલા આ વિદેશી પર્યટકોને સાપુતારા સહિત ડાંગના નૈસર્ગિક પ્રવાસન સ્થળોથી પણ માહિતગાર કરાવ્યા હતા.

ગુજરાતના પર્યટન સ્થળ સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં મેઘ મલ્હાર પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશ-વિદેશથી ભાગ લેવા આવે છે.