Site icon Revoi.in

ખાદ્યતેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ વધતા હોવાની ટ્રેડર્સની કેન્દ્રને રજુઆત

Social Share

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. દરેક ચીજ-વસ્તુઓના ભાવ કુદકે ને ભૂસકે વધતા જાય છે. લોકો પેટ્રોલ-ડિઝલમાં તોતિંગ ભાવ વધારો સહન કરી રહ્યા છે ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે અને કેન્દ્રીય ખાદ્યતેલના સચિવે ટ્રેડર્સ સાથે બેઠક કરી સૂચનો માંગ્યા હતા. જેમાં ઓનલાઈન તેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ ઊંચકાયા હોવાનું સામે આવ્યું હતું. જે ભાવને નિયંત્રણ કરવા સરકાર પગલાં લે તેવી માંગ ઉઠી છે.

ખાદ્યતેલના ટ્રેડર્સના કહેવા મુજબ ઓનલાઈન સટ્ટાકીય તેજી વધતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ખાદ્યતેલના સચિવે ટ્રેડર્સ સાથે બેઠકમાં ભાવ વધારા અંગે માહિતી મેળવી હતી. જેમાં ખાદ્યતેલના આટલા બધા ભાવ વધારાને કન્ટ્રોલ કરવા માટે સૂચનો માંગ્યા હતા. ખાદ્યતેલના વેપારીએ જણાવ્યું હતું કે, બજારમાં ખાદ્યતેલની માંગ નથી પરંતુ ઓનલાઈન સટ્ટો રમતો હોવાથી ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જોકે બેઠક થવાની હોવાની માહિતી સામે આવતા 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં 100 થી 130 રૂપિયા સુધી થયો ઘટાડો થયો છે.

સિંગતેલમાં 10 દિવસમાં 130 રૂપિયાનો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2550 થી 2600 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 100નો ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 2360 થી 2400 રૂપિયા થયો અને પામોલિનમાં 120 રૂપિયાનો ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 2080 થી 2115 રૂપિયા ભાવ થયો છે. સિંગતેલમાં ડિમાન્ડ ઓછી થતા ભાવ ઘટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે નિયંત્રણો હોવાથી હોટેલ અને રેસ્ટોરન્ટો બંધ હોવાથી ખાદ્યતેલમાં ડિમાન્ડ ઘટી છે. જો ફરી એક વખત શરૂ થાય તો ડિમાન્ડ કેવી નીકળે છે તેના પર થી સાચો ખ્યાલ આવી શકે. હાલ તો ઓનલાઈન સટ્ટાકીય તેજી વધુ જોવા મળતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ટ્રેડસોએ પણ સરકાર પાસે તેલના સટ્ટા પર કન્ટ્રોલ કરવા માંગ કરાઈ છે.