Site icon Revoi.in

અમદાવાદમાં વેપારીને ધમકાવીને 4.50 લાખનો તોડ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Social Share

અમદાવાદઃ શહેરમાં વેપારીના ઘરે જઈને ધમકી આપીને તોડ કરનારા મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ  સામે તપાસ હાથ ધરી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.  દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપીએ મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો હતો.

આ કેસની વિગત એવી હતી કે, શહેરના મણીનગરમાં રહેતા શ્રીજી મધના માલિક ગૌરાંગ પટેલના ઘરે 2જી મેના રોજ રાતે 8.30 વાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પીયુષ અને કુલદીપ આવ્યા હતા અને તમે બુટલેગર છો, દારૂનો ધંધો કરો છો, કહીને તેમના ઘરના રૂમમાં તપાસ કરવા લાગ્યા હતા. દરમિયાન  બન્ને  કોન્સ્ટેબલ પૈકી કુલદીપ નામના કોન્સ્ટેબલે પોતાના શર્ટનું બુટન જાતે તોડી નાખ્યું હતું. અને પોલીસની કામગીરીમાં અડચણ કરો છો તેમ કહીને પીસીઆર વાન બોલાવી તેમાં ગૌરાંગભાઈ અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને ડી સ્ટાફ ઓફીસ લઇ ગયા હતા. અને બાદમાં બંને કોન્સ્ટેબલે ગૌરાંગભાઈના પિતા પાસે 10 લાખની માંગણી કરી હતી અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને માર મારવાનું શરુ કર્યું હતું, સાથે જ ધમકી આપી કે, ‘તમારા બંને છોકરાઓને કેવા ફીટ કરી દઈશ. તેમને હાઈકોર્ટમાંથી પણ જામીન નહીં મળે તેમ કહીને ધમકી આપી હતી.  જેના પગલે પિતા ડરી ગયા હતા અને તેમના ઘરેથી 4.50 લાખ લઈને આવ્યા હતા અને માત્ર આટલા જ રૂપિયા પડ્યા હોવાનું જણાવ્યું હતું.

બન્ને કોન્સ્ટેબલોએ રૂપિયા લઈ લીધા બાદ તેમની પાસે એક કાગળ પર સહી કરાવી હતી જેમાં લખ્યું હતું કે, અમે તમારા ઘરે રેડ કરી તેમાં કઈ મળ્યું નથી અને અમે તમને કંઈ કર્યું નથી. બાદમાં વેપારી અને તેના ભાઈનો છોડી દીધા હતા. વેપારી ગૌરાંગભાઈએ આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં ઝોન-6ના ડીસીપીના સુપર વિઝન હેઠળ એસીપી કે ડિવીઝને તપાસ કરી પુરાવા પણ મેળવી લીધા હતા. જેથી બંને પોલીસ કર્મીઓ વિરુધ્ધમાં ગુનો નોધાયો હતો. અને બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.